કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મ

ખોડલધામ મંદિર ખાતે આજથી ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી

  • નવ દિવસ માટે વિવિધ જિલ્લા/તાલુકાની ખોડલધામ સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન 
કાગવડ(રાજકોટ), 9 એપ્રિલ: હિન્દુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજકોટના કાગવડ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં પણ મહિલા સમિતિ દ્વારા ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી શરૂ કરવામાં આવી છે. માઁ ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા છે. કાગવડ ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્નદ્રષ્ટા નરેશ પટેલના ચૈત્રી નવરાત્રિ દરમિયાન ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ દિવસ માટે વિવિધ જિલ્લા/તાલુકાની ખોડલધામ સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે
ખોડલધામ મંદિર-કાગવડ
ખોડલધામ મંદિર-કાગવડ
ખોડલધામ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિતે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા
આજ રોજ તારીખ 9 એપ્રિલને મંગળવારના રોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે સવારથી સાંજ સુધી ખોડલધામ મહિલા સમિતિ- સુરેન્દ્રનગર અને મોરબીની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજ રોજ ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો પણ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મા ખોડલના દર્શનનો લ્હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ચૈત્રી નવરાત્રિમાં નવે નવ દિવસ ખોડલધામ મંદિર ખાતે વિવિધ જિલ્લા/તાલુકાની ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ નોરતે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો, બીજા નોરતે ભાવનગર અને બોટાદ જિલ્લો, ત્રીજા નોરતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો, ચોથા નોરતે અમરેલી જિલ્લો, પાંચમાં નોરતે રાજકોટ શહેર/પડધરી/લોધિકા/કોટડા સાંગાણી તાલુકો, છઠ્ઠા નોરતે ધોરાજી અને ઉપલેટા તાલુકો, સાતમાં નોરતે ગોંડલ તાલુકો, આઠમાં નોરતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને નવમાં નોરતે જેતપુર અને જામકંડોરણા તાલુકાની મહિલાઓ ખોડલધામ મંદિરે આવી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરશે.
ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ રહેલું છે?
ચૈત્રી નવરાત્રિમાં ભક્તો દ્વારા માઁ દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરે છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવે છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે-સાથે માઁ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને માઁ શૈલપુત્રીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. પ્રથમ નવરાત્રીથી જ હિન્દુ નવવર્ષનો પ્રારંભ થાય છે.
Back to top button