કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટી

મુન્દ્રાઃ 7થી લઈ 21 દિવસ માટે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ, જાણો પૂરી વિગત

  • મુન્દ્રા બસ સ્ટેશનથી આંબેડકર સર્કલ (આદર્શ ટાવર) સુધીના રસ્તા ઉપર સી.સી. વર્કની કામગીરીના કારણે તમામ પ્રકારના વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે

ભુજ, શનિવાર, 13 એપ્રિલ: કચ્છ જિલ્લાના મુન્દ્રામાં માર્ગ અને મકાન પેટા વિભાગ, ભુજ અંતર્ગતના ભુજ-મુન્દ્રા રસ્તાના કિ.મી. ૪૩/૫૦૦ (પ્રાગ૫ર ચોકડી) થી કિ.મી. ૫૨/૫૦૦ (મુન્દ્રા બસ સ્ટેશન) સુધીની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૈકી મુન્દ્રા બસ સ્ટેશનથી આંબેડકર સર્કલ (આદર્શ ટાવર) સુધીના રસ્તા ૫ર ૩૬૦ મીટર લંબાઈમાં સી.સી. વર્કની કામગીરી કરવાની હોઈ કુલ- ૨૧ દિવસ માટે ભારે વાહનો તથા કુલ-૭ દિવસ માટે તમામ પ્રકારના વાહનો રસ્તા ૫ર પસાર ન થાય તે બાબતે વાહનોના પ્રવેશ ૫ર પ્રતિબંઘ માટેનું જાહેરનામું બહાર પાડવા નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ, ભુજ-કચ્છ તરફથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મુન્દ્રાને દરખાસ્ત કરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-મુન્દ્રા તરફથી જાહેરનામું બહાર પાડવા હકારાત્મક અભિપ્રાય સાથે દરખાસ્તને ધ્યાને લઈને તથા પોલીસ અધિક્ષક, ૫શ્ચિમ કચ્છ-ભુજ તરફથી ૫ણ હકારાત્મક અભિપ્રાય મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમિત અરોરા, જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં મુન્દ્રા બસ સ્ટેશનથી આંબેડકર સર્કલ (આદર્શ ટાવર) સુધીનો રસ્તો તા.૧૫/૦૪/૨૦૨૪ના સવારના ૭:૦૦ કલાકથી તા.૨૨/૦૪/૨૦૨૪ના સવારના ૭:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે તથા તા.૨૨/૦૪/૨૦૨૪ના સવારના ૭:૦૦ કલાકથી તા.૦૬/૦૫/૨૦૨૪ના સવારના ૭:૦૦ કલાક સુધી ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ કરી તેની અવેજીમાં નીચે અનુસુચીમાં જણાવ્યા મુજબના રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કર્યો છે.

આ જાહેરનામાં મુજબ વાહનોએ ડાયવર્ટ કરેલા માર્ગ ડાક બંગલાથી શાસ્ત્રી મેદાનથી મુન્દ્રા બસ સ્ટેશન તેમજ મહારાણા પ્રતા૫સિંહ સર્કલથી મુન્દ્રા બસ સ્ટેશનનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રની કક્ષાના કર્મચારીઓને રહેશે.

આ હુકમની અંદર ભારે/અતિભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે.

આ જાહેરનામાંથી પ્રતિબંધિત થતા વાહનો પૈકીના વાહનને મુક્તિ આપવા માટેના અધિકારો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મુન્દ્રાને રહેશે.

આ પણ વાંચોઃ ફક્ત ભારતમાં નહીં, વિદેશમાં પણ છે માતાના શક્તિપીઠ, જાણો ક્યાં કયા નામથી ફેમસ

Back to top button