ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

માલદીવના પ્રમુખે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, જાસૂસી પર પ્રશ્ન સાંભળતા થયા ગુસ્સે

  • પ્રમુખ મોહમ્મદ મુઈઝઝૂએ પોતાના પુરોગામી ઈબ્રાહિમ મોહમ્મદ પર લગાવ્યો આરોપ 

માલદીવ, 30 માર્ચ: ચીનના ઈશારે કામ કરનારા માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝઝૂએ આરોપ લગાવ્યો છે કે તેમના પુરોગામી ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે વિદેશી રાજદૂતના ઈશારે કામ કર્યું હતું. જોકે, મુઈઝઝૂએ ન તો કોઈ દેશનું નામ લીધું કે ન તો કોઈ રાજદ્વારનું નામ લીધું છે. પ્રમુખ મુઈઝઝૂએ પબ્લિક સર્વિસ મીડિયા (PSM) સાથેની મુલાકાત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ આરોપ લગાવ્યો હતો. જેમાં તેમને તાજેતરમાં લશ્કરી ડ્રોનની ખરીદી અંગે વિપક્ષની ટીકા વિશે પૂછવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, મુઈઝઝૂનું આ નિવેદન ભારત પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમના પુરોગામી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ 2018-23 દરમિયાન પ્રમુખ હતા. તેમની સરકારે ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ લાગુ કરી હતી. માલદીવ ભારતની “નેબરહુડ ફર્સ્ટ” નીતિના મુખ્ય લાભાર્થીઓમાંનું એક હતું. સોલિહના કાર્યકાળ દરમિયાન, નવી દિલ્હીએ માલદીવમાં વિકાસ અને માળખાકીય પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનો ખર્ચ કર્યો હતો.

પ્રમુખનું આ ઈન્ટરવ્યુ ગુરુવારે રાત્રે પ્રસારિત કરવામાં આવ્યું હતું. દેશમાં સંસદીય ચૂંટણીઓ પહેલા, મુખ્ય વિપક્ષી માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ વિવિધ મુદ્દાઓને લઈને મુઈઝઝૂ પર પ્રહારો વધારી દીધા છે.

પ્રમુખ મોહમ્મદ મુઈઝઝૂએ શું કહ્યું ?

આ મહિનાની શરૂઆતમાં, એવી જાહેરાત કરવામાં આવી હતી કે માલદીવે પ્રથમ વખત તેના વિશાળ વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે તુર્કી પાસેથી સર્વેલન્સ ડ્રોન ખરીદ્યા છે અને લશ્કરી ડ્રોન ચલાવવા માટે ડ્રોન બેઝ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડ્રોન અંગેની ટીકા અંગેના પ્રશ્નના જવાબમાં મુઈઝઝૂએ જણાવ્યું હતું કે, મુખ્ય વિપક્ષી પાર્ટી MDP 2018થી 2023 સુધી સત્તામાં રહી હતી અને સંસદમાં તેની પાસે પ્રચંડ બહુમતી પણ હતી. પરંતુ પાર્ટી માલદીવની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી અને તેને વિદેશી દેશના હાથમાં છોડી દીધી તેમ ન્યૂઝ પોર્ટલે મુઈઝઝૂને ટાંકીને જણાવ્યું હતું.

ન્યૂઝ પોર્ટલ અનુસાર, મુઈઝઝૂએ કહ્યું કે, ભૂતપૂર્વ પ્રમુખ સોલિહે વિદેશી રાજદૂતના આદેશ પર કામ કર્યું હતું, જેના પરિણામે વ્યાપક નુકસાન થયું હતું. જો કે, તેણે તે સ્પષ્ટ કર્યું નથી કે તે કયા દેશનો ઉલ્લેખ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, “આપણે આર્થિક સહિત દરેક રીતે સ્વતંત્રતા ગુમાવી દીધી હતી. આ બધુ કર્યા પછી પણ, તેઓ આ બધાને ઉકેલવા અને દેશને પાછો વિકાસના રસ્તા પર પાછા લાવવાના અમારા પ્રયાસોને તેઓ સ્વીકારશે નહીં, જે માર્ગ પર માલદીવના લોકો જવા માંગે છે”

હાલના પ્રમુખનો ચીન તરફી ઝુકાઉ?

બીજી તરફ, પ્રમુખ મુઈઝઝૂનો ચીન તરફી ઝુકાઉ રહ્યો છે. તેમણે ગત પ્રમુખની ચૂંટણીમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. કાર્યભાર સંભાળ્યાના થોડા કલાકો બાદ જ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાની માંગ કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, માલદીવમાં તૈનાત લગભગ 80 ભારતીય સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ. આ સૈન્ય કર્મચારીઓ બે હેલિકોપ્ટર અને એક વિમાનના સંચાલનમાં રોકાયેલા હતા. આ વિમાનો મુખ્યત્વે માનવતાવાદી સહાય અને તબીબી સ્થળાંતર કામગીરી માટે ચલાવવામાં આવે છે. ભારતે તાજેતરમાં એક હેલિકોપ્ટર ચલાવતા સૈન્ય કર્મચારીઓને નાગરિક કર્મચારીઓ સાથે બદલી નાખ્યા છે અને બાકીનાને મે સુધીમાં પાછા ખેંચી લેવામાં આવશે.

આ પણ જુઓ: ભારતીય નૌકાદળે બતાવી તાકાત, ઈરાની જહાજ અને 23 પાકિસ્તાનીઓને ચાંચિયાઓથી બચાવ્યા

Back to top button