મખાના ભલે હોય પોષણથી ભરપૂર, પરંતુ આ તકલીફોમાં ન ખાશો


- ઘીમાં સાંતળીને ખાવામાં આવતા મખાના ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ઘરના વૃદ્ધોથી લઈને બાળકોને પણ મખાના ખાવાની સલાહ આપવામાં આવે છે. જોકે કેટલીક પરિસ્થિતિમાં તે ન ખાવા જોઈએ
મખાના આમ તો પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. ઘણા લોકોને મખાનાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘીમાં સાંતળીને ખાવામાં આવતા મખાના ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ઘરના વૃદ્ધોથી લઈને બાળકોને પણ મખાના ખાવાની સલાહ આપવામાં આવે છે. તે એક પૌષ્ટિક ખોરાક છે, પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશન્સમાં મખાના ન ખાવાની સલાહ આપવામાં આવે છે. મખાના ફાઈબરથી ભરપૂર છે, તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ સહિત અનેક ન્યુટ્રિશન્સ મળી આવે છે, પરંતુ જો તમે ફાયદાના ચક્કરમાં વધુ મખાના ખાઈ લો તો તે પરેશાનીનું કારણ બની શકે છે.
મખાના પેટની સમસ્યાઓ વધારી શકે છે
જે લોકોનું પાચનતંત્ર નબળું છે તેમણે મખાના ખાવાનું ટાળવું જોઈએ અથવા તેને ખૂબ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ. મખાનામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબરનું પ્રમાણ વધુ હોવાને કારણે મખાનાને પચાવામાં મુશ્કેલી પડે છે. ઘીમાં તળ્યા પછી, મખાના પચવામાં વધુ મુશ્કેલ બની જાય છે. જે લોકોને કબજિયાત, પેટમાં દુખાવો કે બ્લોટિંગની સમસ્યા હોય તેમને મખાના નુકસાન પહોંચાડી શકે છે. સ્વાદ અને પોષણના ચક્કરમાં મખાના ખાવાથી આ સમસ્યાઓ થઈ શકે છે.
કિડનીમાં પથરી હોય તો ન ખાવ
જો તમે કિડનીમાં સ્ટોનની સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો ભૂલથી પણ મખાના ન ખાઓ. મખાનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કિડનીમાં પથરીની સમસ્યા મુખ્યત્વે કેલ્શિયમના વધારાને કારણે થાય છે. આવી સ્થિતિમાં મખાના ખાવાથી આ સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચોઃ Apple 7 મેના રોજ સ્પેશિયલ ઈવેન્ટમાં મહત્ત્વની જાહેરાત કરી શકે છે