ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અલગ અલગ આંદોલનથી ઉભરી આવેલા નેતાઓ આ વખતે ચૂંટણી મેદાનમાં, પરિણામ નક્કી રાજકીય ભાવિ

અમદાવાદઃ 2017ના સામાજિક આદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીના મેદાનમાં છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા છે. 2022ના પરિણામો આ ત્રણેય નેતાઓનું ભાવિ નક્કી કરશે. આ ત્રણેય નેતાઓ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેનો રાજકીય ઇતિહાસ શુ છે. સામાજિક સમીકરણો શું છે. સ્થાનિક લોકોના મુદ્દાઓ શુ છે. આ ઉપરાંત આ ત્રણેય યુવા નેતાઓને વિશે સ્થાનિક જનતા શુ વિચારી રહી છે તે પણ મહત્વનું બની રહેશે.

અલ્પેશ ઠાકોર ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ અને જિજ્ઞેશ મેવાણી વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણેય નેતાઓને કોંગ્રેસે રાજકીય પ્લેટફોર્મ પુરુ પાડ્યુ પણ સમાયાંતરે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી ભાજપની સાથે જોડાઈ ગયા. હવે ચૂંટણી મેદાનમાં છે આ હાલના તબક્કે આ ત્રણેય નેતાઓની શુ સ્થિતિ છે તે પણ રસપ્રદ છે.

આંદોલનથી શરૂ થઇ રાજકીય સફર
અલ્પેશ ઠાકોરે 2017માં ઠાકોર સમાજ માટે આંદોલન શરૂ કર્યું. આંદોલનનો મુખ્યમુદ્દો શિક્ષણ, રોજગાર અને વ્યસનમુક્તિનો હતો. આ ત્રણ મુદ્દા સાથે અલ્પેશ ઠાકોરે સામાજિક પ્રસિદ્ધિ મેળવી અને સમાજને એક કરવામાં સફળ રહ્યાં. અલ્પેશ ઠાકોરે છૂટા છવાયા ઠાકોર સમાજને એક કરીને યુવાનોનું સંગઠન બનાવ્યું અને સમગ્ર ગુજરાતમાં રેલી તથા સભા થકી સમાજના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી વિશ્વાસ જીત્યો. અલ્પેશ ઠાકોરે વિસનગરથી પ્રથમ સભાની શરૂઆત કરી હતી. એટલે કે ઉત્તર ગુજરાતથી અલ્પેશ ઠાકોરની સામાજિક લડાઇની શરૂઆત થઇ હતી.

2017માં અલ્પેશ ઠાકોરે સામાજિક લડાઇને રાજકીય લડાઇમાં ફેરવી દીધી અને સમાજને રાજકીય નેતૃત્વ પુરુ પાડવા માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ઠાકોર સમાજના જ કેટલાંક નેતાઓએ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચઢાવીને લડત શરૂ કરી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોર પર ભરોસો મુકીની તેમને અને તેમના આપસાપના યુવા નેતાઓને ટિકિટ ફાળવી હતી. જેમાં ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી નક્કી કરશે અલ્પેશની રાજકીય કારકિર્દી
2017માં કોંગ્રેસ સત્તા મેળવી શક્યુ નહી અટલે સમીકરણો બદલાયા. અલ્પેશ ઠાકોરની મહેચ્છા મંત્રી બનવાની હતી. રાજ્ય સભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર અને તેને સાથીમિત્ર ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તમામ પ્રકારના સમાધાન કરીને કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. હવે અલ્પેશ ઠાકોરની ભાજપમાં રાજકીય સફળ શરૂ થઇ. ભાજપની ટિકિટ પર રાધનપુર સીટ પરથી પેટા ચૂંટણી લડી પરંતુ તેમાં પરાજય થયો અને કોંગ્રેસના રઘુ દેસાઈનો વિજય થયો હતો. આ હાર પાછળ પણ પોતાના માણસોની નારાજગી સામે આવી હતી. હવે ફરી 2022 ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની રાજકીય કેરિયર પરિણામ આધીન છે.

પાટીદાર અને ઠાકોર મતો અલ્પેશનું ભાવિ નક્કી કરશે
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટમાં ઠાકોર અને પટેલ મતદારો નિર્ણાયક છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. જેની સામે કોંગ્રેસે પાટીદાર સમાજના હિમાંશુ પટેલને ટિકિટ આપી છે. 2008ના સિમાંકન બાદ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અસ્તિત્વમાં આવી. અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી થઇ છે જેમાં ભાજપના શંભુજી ઠાકોર વિજેતા બન્યા હતા.

આ વિધાનસભામાં પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના સમીકરણો પરિણામ નકકી કરે છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ આ વખતે ખરાખરીનો જંગ બની રહેશે. કારણ કે, કોંગ્રેસના હિમાંશુ પટેલ સ્થાનિક ઉમેદવાર છે. જ્યારે ભાજપના અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર છે. શરૂઆતના તબક્કામાં અલ્પેશ ઠાકોરના નામનો વિરોધ થયો હતો. કોંગ્રેસના સ્થાનિક પાટીદાર ઉમેદવાર સામે અલ્પેશ ઠાકોર પર પાટીદાર મતદારો ભરોસો મુકે છે કે નહી તે જોવું રહ્યું.

ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજના 60 હજાર મત છે. પાટીદારના 50 હજાર મત છે. દલિત, ક્ષત્રિય અને મુસ્લિમ 50 હજાર મત છે. આથી અલ્પેશ જીત મેળવવા માટે ઠાકોર ઉપરાંત ક્ષત્રિય,દલિતના મતો મેળવવા જરૂરી છે.

2017ના આંદોલન બાદ દલિત નેતા તરીકે ઉભરી આવ્યા
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઇને દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યા. જેમાં સૌથી મોટું આંદોલન પાટણમાં દલિત યુવાને કરેલા આત્મવિલોપનનુ હતું. ઘટના બાદ જિજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે ઉભરી આવ્યા. આ પહેલા જિજ્ઞેશ મેવાણી દલિત સમાજના લોકોના જમીનના મુદ્દે લડતા હતા. વ્યવસાયે પત્રકાર અને ત્યારબાદ વકિલાત કરવાનું શરૂ કર્યું. દલિત સમાજને થતા અન્યાયને લઇને તેઓ સતત સરકાર સામે લડત આપી હતી.

અપક્ષથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુધી પહોંચ્યા
જિજ્ઞેશ મેવાણી
યુવાઓના મુદ્દાને લઇને લડત આપવાની શરૂઆત કરી. ગુજરાતમાં જિજ્ઞેશ મેવાણીએ દલિત યુવાનોને એક કરવાના પ્રયત્નો શરૂ કર્યા. દલિત સમાજના મુદ્દાને લઇને ભાજપના દલિત સમાજના મંત્રી અને નેતાઓને પણ ઘેરવાના પ્રયત્નો કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર ઠાકોર અને દલિત સમાજના વિરોધ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું.

જિજ્ઞેશ મેવાણીએ 2017ની ચૂંટણીમાં વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી નોધાવી. 2017ના પરીણામ આધારે જિજ્ઞેશ મેવાણી પર વડગામના મતદારોએ ભરોસો મુક્યો. જિજ્ઞેશ મેવાણીને 95,497 મત મળ્યા હતા.

2022 ચૂંટણી પહેલા જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા. કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને કાર્યકારી પ્રમુખ પદ આપી સામેલ કર્યા હતા. જિજ્ઞેશ મેવાણીના કોંગ્રેસમાં પ્રવેશથી દલિત વોટ બેંકનો કોંગ્રેસ તરફ ઝૂકાવ જોવા મળે તો નવાઇ નહી.

મુસ્લિમ અને દલિત સમાજના આર્શિવાદ જિજ્ઞેશ મેવાણીને મળશે ખરા
વડગામ સીટ પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. મુસ્લિમ મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ રહ્યો છે. 2017માં જિજ્ઞેશ મેવાણીને દલિત અને મુસ્લિમ મતદારોનો સીધો ફાયદો થયો હતો. વડગામમાં 75 હજાર મુસ્લિમ મતદારો છે. 35 હજાર દલિત મતદારો છે. ચૌધરી 30 હજાર મતદારો છે અને ક્ષત્રિય 25 હજાર મતદારો છે. જિજ્ઞેશ મેવાણી સામે ભાજપના મણિલાલ વાઘેલા ઉમેદવારી કરી રહ્યા છે. જેથી વડગામ વિધાનસભા સીટ પર દલિત મતદારોનું ધ્રુવિકારણ થઇ શકે છે.જ્યારે મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજના મતો પરિણામ નક્કી કરી શકે છે.

ચૌધરી સમાજના મતો મેળવવા માટે હાલ ભાજપ મહેનત કરી રહ્યું છે. આથી જિજ્ઞેશ મેવાણીને જીતવા માટે દલિત મુસ્લિમ અને ક્ષત્રિય મતદારોને રિઝવવા પડશે. જો કે, વડગામ વિધાનસભાના સ્થાનિક મુદ્દાને લઇને જિજ્ઞેશ મેવાણીએ લડત પણ આપી છે. વડગામમાં સિંચાઇના પાણીના મુદ્દાને તેને વિધાનસભામાં ઉઠાવ્યા હતા. તેનો ફાયદો મેવાણીને મળી શકે છે.

અનામત આંદોલનની આગે હાર્દિકને હીરો બનાવ્યા
2017 પહેલા રાજ્યમાં પાટીદાર સમાજની અનામત અને સામાજના મુદ્દાઓને લઇને મોટું આંદોલન થયું. આ આદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતના વિસનગરથી થઇ હતી. આંદોલની આગેવાની હાર્દિક પટેલે કરી હતી. આંદોલનની શરૂઆત વિસનગરના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં થયેલી તોડફોડથી થઇ હતી. જેની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી હતી.

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજે વિવિધ મુદ્દાઓ લઇને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનામાં પાટીદાર સમાજે પોતાના કેટલાંક સંતાનો પણ ગુમાવ્યા હતા. અને આંદોલન દરમિયાન સરકારી પ્રોપર્ટીને થયેલા મુકસાન બદલ પાટીદાર યુવાન પર સરકારે કેસ પણ કર્યા છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને ટિકિટ મળી
પાટીદાર આંદાલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણી પર જોવા મળતી હતી. કારણ કે ભાજપની પરંપરાગત મતદારો ભાજપથી નારજ થયા હતા. ભાજપે પાટીદારોની નારાજગી દૂર કરવા માટે સામાજિક આગેવાનો સાથે બેઠકો કરી અને સમજાવવાના પ્રયત્નો કર્યા.

હાર્દિક પટેલે 2017ની ચૂંટણીમાં રાજકીય પક્ષોથી દૂર રહીને કોંગ્રેસમાં તેમના સાથી મિત્રોને ટિકિટ આપાવી હતી. જેમાં 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલના મિત્રોની જીત પણ થઇ હતી. ત્યારબાદ સમયાંતરે હાર્દિક પટેલે રાજકીય પ્રવેશ માટે રસ્તો ખુલ્લો કર્યો અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં હાર્દિકને કાર્યકારી પ્રમુખનુ પદ આપવામાં આવ્યું. જો કે, થોડો સમય હાર્દિકે કોંગ્રેસમાં પોતાની ભૂમિકા ભજવી અને ત્યારબાદ કોંગ્રેસથી મોહભંગ થતાં પાર્ટીને અલવિદા કહી દીધુ અને ભાજપમાં જોડાયા. હાર્દિક ભાજપમાં જોડાતા તેના કેટલાંક સાથી મિત્રોએ તેના પર આક્ષેપ કર્યા હતા. હવે હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

હાર્દિક પટેલને ઠાકોર સમાજના આર્શિવાદ મળે તો જીત મેળવી શકે
વિરમગામ વિધાનસભા
પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. વિરમગામમાં ઠાકોર સમાજ જે ઉમેદવાર પર ભરોસો મુકે તેની જીત નકકી હોય છે. જો કે, હાર્દિક પટેલ સામે કોંગ્રેસમાંથી સિટિંગ ધારાસભ્ય લાખા ભરવાડ ચૂંટણી લડી રહ્યા છે.

વિરમગામ સીટ બે ટર્મથી કોંગ્રેસ જીત મેળવતી આવ્યું છે. અહી ભાજપે જીત મેળવવા અનેક પ્રયાસો કર્યા પણ સફળ ન થયું. વિરમગામ સીટના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, 1995માં ભાજપના ઉમેદવાર જ્યંતિભાઇ મચ્છર વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ 1998માં કોંગ્રેસના પ્રેમજી વડલાણી જીત મેળવી હતી. 2002માં ભાજપના ઉમેદવાર વજુભાઇ ડોડીયા જીત મેળવી હતી. 2007માં કમાભાઇ રાઠોડે જીત મેળવી હતી. ત્યારબાદ 2012માં ડો. તેજશ્રીબેન પટેલે જીત મેળવી હતી. ત્યારબાદ 2017માં લાખાભાઇ ભરવાડે જીત મેળવી હતી. 2008ના નવા સીમાંકન બાદ ભાજપ આ સીટ પરથી જીતી શક્યું નથી.

Back to top button