ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પન્નુની હત્યાના કાવતરાના કેસમાં ભારતીય નાગરિક US કોર્ટમાં હાજર, જાણો શું-શું થયું

  • આરોપી નિખિલ ગુપ્તાએ US કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર બતાવ્યો

નવી દિલ્હી, 18 જૂન: ખાલિસ્તાન આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને સોમવારે યુએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નિખિલ ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં પોતાને નિર્દોષ બતાવ્યો હતો. નિખિલ ગુપ્તાની અમેરિકાના અનુરોધ પર 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ‘એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે. અમને ત્રણ વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યો.’ ભારતીય નાગરિક 52 વર્ષીય નિખિલ ગુપ્તાને શુક્રવારે ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો હતો.

નિખિલ ગુપ્તાએ કોર્ટમાં શું કહ્યું?

નિખિલ ગુપ્તાના વકીલ જેફરી ચેબ્રોવેના જણાવ્યા અનુસાર, તેમના અસીલને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ બતાવ્યો હતો. આ મામલો બંને દેશો માટે ઘણો જટિલ છે. પરંતુ તે પણ મહત્ત્વપૂર્ણ છે તેથી અમે કોઈપણ પ્રકારની ઉતાવળ ટાળવા માંગીએ છીએ. નિખિલ ગુપ્તાએ કોર્ટ સમક્ષ કહ્યું કે, તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવાની વિનંતીને ફગાવી દીધી હતી.

28 જૂન સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ

ન્યૂયોર્ક કોર્ટે નિખિલ ગુપ્તાને 28 જૂને સુનાવણી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન તેમના વકીલે જામીન માટે અરજી કરી ન હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે નિખિલ ગુપ્તા પર પૈસા માટે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષની જેલની જોગવાઈ છે.

નિખિલ ગુપ્તા પર કયા આરોપો લગાવવામાં આવ્યા?

પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે, નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.

શું છે મામલો?

ગયા વર્ષે, એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. કહેવાય છે કે, અમેરિકાએ પણ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ એ નથી કહ્યું કે, શું ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હોવાને કારણે કાવતરાખોરોએ તેમની યોજનાઓ બદલી કે પછી FBIના હસ્તક્ષેપને કારણે કાવતરું નિષ્ફળ ગયું. આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર કથિત રીતે પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. યુએસ સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક શહેરમાં રહેતા શીખ અલગતાવાદી પન્નુને મારવા માટે એક હત્યારાને US $ 100,000 આપવા સંમત થયો હતો. તેમાંથી 15 હજાર ડોલરની એડવાન્સ પેમેન્ટ 9 જૂન 2023ના રોજ કરવામાં આવી હતી. પરંતુ, આ કામ માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તે અમેરિકન એજન્સીનો ગુપ્તચર એજન્ટ હતો.

PM મોદીએ જવાબ આપ્યો હતો

પીએમ મોદીએ ગયા વર્ષે બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વિદેશમાં છુપાયેલા કેટલાક ઉગ્રવાદી જૂથો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ બંને દેશો વચ્ચે ભાગીદારીનું મુખ્ય માપદંડ છે. મને નથી લાગતું કે કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી. આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે કે, આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે તેમ જ એકબીજા પર નિર્ભર છે.

આ પણ જુઓ: ISRO ના અવકાશયાત્રીઓને NASA દ્વારા અપાશે તાલીમ : અમેરિકી NSA

Back to top button