ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય પ્રતિભાની વૈશ્વિક સ્તરે ઉચ્ચ માંગ: વિદેશ મંત્રી જયશંકર

  • વિશ્વના વિકસિત દેશો હવે ભારત સાથે મોબિલિટી એગ્રીમેન્ટ કરવામાં રસ દાખવી રહ્યા છે: જયશંકર 

નવી દિલ્હી, 18 મે: વિદેશ પ્રધાન એસ. જયશંકર નવી દિલ્હીમાં શુક્રવારે યોજાયેલી CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટને સંબોધિત કરતાં સમયે તેમણે વૈશ્વિક સ્તરે ભારતીય કુશળતા અને પ્રતિભાની વધતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, વિશ્વના વિકસિત દેશો હવે ભારત સાથે મોબિલિટી એગ્રીમેન્ટ કરવામાં રસ દાખવી રહ્યા છે. નોલેજ ઈકોનોમીના આ યુગમાં ભારતીય કૌશલ્યો અને પ્રતિભાની ભૂમિકાનું પણ પુનઃમૂલ્યાંકન થઈ રહ્યું છે. ટેક્નોલોજીકલ ઉન્નતિ જ વધુ માંગ ઊભી કરી રહી છે. વિકસિત દેશોમાં વસ્તી વિષયક ખાધની વાસ્તવિકતા પણ રહેલી છે. આ વલણ હવે વિશ્વભરમાં ભારત સાથે ગતિશીલતા કરારો કરવાના રસના સ્વરૂપમાં પ્રગટ થઈ રહ્યું છે. અમારી તરફથી અમે પણ એ જોવા માંગીએ છીએ કે અમારી પ્રતિભા સાથે નિષ્પક્ષ અને પારદર્શક રીતે વ્યવહાર કરવામાં આવે.

 

વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?

એસ. જયશંકર જણાવ્યું કે, ‘ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ કલ્ચરનો ફેલાવો પણ તેમને મદદ કરે છે. વ્યવસાયોએ પણ આપણા માનવ સંસાધનોને અપગ્રેડ કરવામાં તેમનું યોગ્ય યોગદાન આપવાની જરૂર છે.’ વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાની જવાબદારી પર ભાર મૂકતા, વિદેશ મંત્રીએ યુક્રેન અને સુદાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ કામગીરીને પણ પ્રકાશિત કરી અને કહ્યું કે, તેઓ ભારતને નવીનતા, સંશોધન અને ડિઝાઇન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખે છે.’

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘જેમ જેમ વૈશ્વિક કાર્યસ્થળ વિસ્તરશે તેમ તેમ વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા કરવાની જવાબદારી પણ પ્રમાણસર વધશે. સદનસીબે, આ તે ક્ષેત્ર છે જ્યાં અમે ક્ષમતાઓ વિકસાવી છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOPs) તૈયાર કરી છે, જેમ કે તાજેતરમાં યુક્રેન અને સુદાનમાં જોવા મળ્યું.’ તેમણે કહ્યું કે, ‘અમે વિદેશમાં મુસાફરી કરતા અને કામ કરતા ભારતીયો માટે જીવન સરળ બનાવવા માટે ટેકનોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છીએ. જો કે, જ્યારે અમે ‘મેક ઇન ઇન્ડિયા’ના મહત્ત્વની સાથે અમારી પ્રતિભાની સુસંગતતાને ધ્યાનમાં લઈએ છીએ, ત્યારે અમે અમારી જાતને નવીનતા, સંશોધન અને ડિઝાઇન માટે વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું કહીશ કે ‘વર્ક ઇન ઇન્ડિયા’ એ કુદરતી પરિણામ છે, તે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે સહાયક આધાર છે. પરંતુ તેની સબ-થીમ ‘વર્ક ફોર ધ વર્લ્ડ’ પણ હશે.’

યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વિશે શું કહ્યું?

યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધોને કારણે સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહેલી કટોકટીને પણ રેખાંકિત કરતાં જયશંકર કહ્યું હતું કે, “વિશ્વએ ઈંધણ, અનાજ અને ખાતરોની 3F કટોકટીનો સામનો કરી રહ્યું છે. જેમાં ભારત ‘ભારત ફર્સ્ટ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ના ન્યાયપૂર્ણ સંયોજન સાથે કામ કરી રહ્યું છે. આજે આપણે જે વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ તે યુક્રેન યુદ્ધ છે, જે હવે તેના ત્રીજા વર્ષમાં છે. પશ્ચિમ એશિયા-મધ્ય પૂર્વમાં હિંસામાં ભારે વધારો થયો છે જે આનાથી આગળ પણ ફેલાઈ શકે છે. યુદ્ધ, પ્રતિબંધો, ડ્રોન હુમલા અને આબોહવાની ઘટનાઓને કારણે અનેક પ્રકારના વિક્ષેપો આવી શકે છે.”

આ પણ જુઓ: બેંગ્લોર જતી Air India ફ્લાઈટનું દિલ્હી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ

Back to top button