ગુજરાતહેલ્થ

અંકલેશ્વર અને નવસારીમાં મસાલાના ઉત્પાદકો, વેચાણકર્તાઓને ત્યાં દરોડા

Text To Speech

ગાંધીનગરઃરાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ ફુડ સેફ્ટી કમિશ્નર શ્રી એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યાનુંસાર રાજ્યમાં મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓની સીઝન ચાલે છે ત્યારે નાગરિકોને મસાલાઓ ભેળસેળ મુક્ત મળે તે જરૂરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે તંત્ર દ્વારા અંકલેશ્વર ખાતે મરચા પાઉડરની તપાસ કરવામાં આવી હતી. આ મરચું પાઉડર હલકી કક્ષાનું તેમજ ઉત્પાદક તરીકે ગુજરાત બહારનું સરનામું દર્શાવેલ હોવાથી આ મરચામાં ભેળસેળની પ્રબળ શંકા જણાઇ હતી. જેથી મે.પન્‍ના સેલ્સ એજન્‍સી, અંકલેશ્વર ખાતેથી “શ્રી સ્પેશ્યલ” બ્રાન્‍ડનું મરચું પાઉડરનો નમુનો લેવામાં આવ્યો હતો. બાકીનો ૬૯ કિલો (રૂ.૬૯૦૦) જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે.

આ પેઢી ખાતે આ મરચું પાઉડર મે.જૈન મસાલા પ્રોડકટસ, નવસારી દ્વારા સપ્લાય કરવામાં આવ્યુ હોવાની હકીકત ધ્યાને આવતાં ફુડ સેફ્ટી કમિશ્નરની ફુડ ટીમે તાત્કાલિક નવસારી ખાતે મે.જૈન મસાલા પ્રોડક્ટસ ઉદ્યોગનગર, નવસારી પહોંચીને મોડી સાંજે તપાસ હાથ ધરી હતી. આ ઉત્પાદક પાસેથી મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણાં પાઉડરના કુલ ત્રણ નમૂના ઓ ફુડ સેફ્ટી એક્ટ મુજબ લેવામાં આવ્યા હતા અને બાકીનો જથ્થો ૨૦૩૪ કિલો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ ૪ નમૂના ઓ લઇ કુલ ૨૧૦૩ કિલો (રૂ.૨,૩૩,૬૬૦) સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે નમૂના ઓના પૃથ્થકરણ અહેવાલ મળ્યાં બાદ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયુ છે.

Back to top button