CAA લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં લાગુ થશે: અમિત શાહ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો (CAA) લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ જાહેરાત તેમણે એક કાર્યક્રમ દરમિયાન કરી છે. અમિત શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિરુદ્ધ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA માત્ર એવા લોકોને નાગરિકતા આપવા માટે છે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા છે. આ કાયદો કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, CAA નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
CAA का नोटिफिकेशन जल्द ही हो जाएगा। pic.twitter.com/pdQEsRSBCf
— Amit Shah (@AmitShah) February 10, 2024
વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો ગૃહમંત્રીનો આક્ષેપ
અમિત શાહે કહ્યું કે આ વચન કોંગ્રેસે આપ્યું હતું. જ્યારે દેશનું વિભાજન થયું અને ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર થયો, ત્યારે તેઓ બધા ભારત આવવા માંગતા હતા, ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તમે અહીં આવો, તમને અહીંની નાગરિકતા આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિશે ગેરમાર્ગે દોરવામાં અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.
યુનિફોર્મ સિવિલ કોડ અંગે શાહે કહ્યું કે તે બંધારણીય એજન્ડા છે, જેના પર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અન્ય લોકોએ હસ્તાક્ષર કર્યા છે. પરંતુ કોંગ્રેસે તુષ્ટિકરણના કારણે તેની અવગણના કરી. ઉત્તરાખંડમાં UCCનો અમલ એક સામાજિક પરિવર્તન છે. તેના પર તમામ મંચ પર ચર્ચા કરવામાં આવશે અને કાયદાકીય અભિપ્રાય લેવામાં આવશે. ધર્મનિરપેક્ષ દેશમાં કોઈ ધર્મ આધારિત નાગરિક સંહિતા હોઈ શકે નહીં.
2014 પહેલા ભારત આવેલા લોકોને નાગરિકતા મળશે
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા CAAનો ઉદ્દેશ્ય 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિતના અત્યાચારનો સામનો કરી રહેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા CAA પસાર થયા પછી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની સંમતિ પછી દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.
ભાજપને 370થી વધુ સીટો મળશે: અમિત શાહ
આ સાથે અમિત શાહે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને NDAને 400થી વધુ સીટો મળશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનશે. શાહે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ સમજાઈ ગયું છે કે તેઓએ ફરીથી વિપક્ષી તરીકે જ બેસવું પડશે.
આ પણ વાંચો: CAA કાયદાના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરાશે !