ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કુંભરખા માં હરેકૃષ્ણ સરોવર થી 1500 હેક્ટરમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે

*મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી

બનાસકાંઠા 30 જૂન 2024 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે ગુજરાત સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશન, સુરતના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પદ્મ સવજીભાઈ ધોળકિયા તેમજ અન્ય મહાનુભાવો સાથે મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે, એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે. તેમણે રાજ્ય સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જળસંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે. વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું, અને પાણીનું ટીપે ટીપુ બચાવવા માટેનું આ લોકભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે. આ સરોવરથી આજુબાજુના સાત જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકો સિસ્ટમ ડેવલપ થશે.

સવજી ધોળકિયા ફાઉન્ડેશ, સુરતના ચેરમેન અને પદ્મ સવજીભાઈ ધોળકીયાએ ખૂબ આનંદ સાથે જણાવ્યું કે, આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ પણ, આ વિસ્તારના લોકોનો જે સાથ સહકાર મળ્યો એ ખરેખર અદભુત છે. આ તળાવ તમારું છે અને તમારે સાચવવાનું છે. કોઈ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે. સરહદી વિસ્તારમાં પાણી માટેનું આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે.

 

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવ કે.પી.રાબડીયા, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, સરપંચ  હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

30 હેક્ટર જમીનમાં હરે કૃષ્ણ સરોવર નિર્માણ

સવજી ધોળકિયા ફાઉન્ડેશન, ગુજરાત સરકાર અને ગામ લોકોના સહયોગથી 30 હેક્ટર જમીનમાં હરે કૃષ્ણ સરોવર નિર્માણની કામગીરી થઈ રહી છે. જેમાં 16 લાખ રૂપિયા ગ્રામજનોનો લોક ફાળો છે. જ્યારે સવજી ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના કોલોબ્રેશનથી અંદાજિત ચાર કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થનાર છે. આ સરોવરની લંબાઈ 1360 મીટર અને પહોળાઈ 480 મીટર છે. સરોવરની ઊંડાઈ 1 મીટર છે. સરોવરની સંગ્રહ ક્ષમતા 45 લાખ ક્યુબીક મીટર છે. આ સરોવરમાં વજાપુર, કલ્યાણપુરા, એટા, રામપુરા, ભટાસણા, રડકા, ચાત્રા ગામોનું વરસાદી પાણી ઠાલવવામાં આવશે. જેનાથી કુંભારખા, ખડોલ, ભટાસણા, રડકા, ચાત્રા, સેડવ, ઉચોસણ અને કુંભારખા ગામના અંદાજીત 500 થી વધુ ખેડૂત અને 1500 હેક્ટર જમીનમાં વપરાશ તથા સિંચાઈ માટે પાણી સંગ્રહિત થશે.

Back to top button