ટોપ ન્યૂઝનેશનલ

AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો, પ્રોટેક્શન મની લેવાના કેસમાં CBI તપાસને મંજૂરી

Text To Speech

નવી દિલ્હી, 29 માર્ચ : આમ આદમી પાર્ટી (AAP) એક પછી એક ફટકાનો સામનો કરી રહી છે. થોડા દિવસો પહેલા EDએ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલ તે EDના રિમાન્ડમાં છે. પાર્ટીના ત્રણ મોટા નેતાઓ – મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ જેલમાં છે. આવી સ્થિતિમાં સત્યેન્દ્ર જૈનની મુસીબતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એક કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે.

આ કેસ મહાઠગ સુકેશ સાથે જોડાયેલો છે

એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે. સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહારમાંથી ખંડણીનું રેકેટ ચલાવવાનો અને હાઈ-પ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની માંગવાનો આરોપ છે.

શું છે CBIનો આરોપ?

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ મામલે ગૃહ મંત્રાલય પાસેથી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાંથી હાઈ-પ્રોફાઈલ ખંડણીનું રેકેટ ચલાવી રહ્યો છે. સીબીઆઈએ કહ્યું કે જૈને ગેંગસ્ટર સુકેશ પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. સુકેશે આરોપ લગાવ્યો છે કે 2018 થી 2021 વચ્ચે સત્યેન્દ્ર જૈને પોતે અથવા તેના સહયોગીઓ દ્વારા તેમની પાસેથી પૈસા પડાવી લીધા છે.

Sukesh Chandrasekhar and Satyendra Jain
Sukesh Chandrasekhar and Satyendra Jain

મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમની છેલ્લી જામીન અરજી આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને મની લોન્ડરિંગ કેસમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. 26 મે, 2023 ના રોજ જેલના બાથરૂમમાં પડી ગયા પછી તેને વચગાળાના તબીબી જામીન આપવામાં આવ્યા હતા. જામીનના સમયગાળા દરમિયાન તેમને કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Back to top button