કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ

  • મહાવદ નોમ અને 5મી માર્ચથી ચાર દિવસીય મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ
  • મેળામાં પધારનાર ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા કલેક્ટરે આપી સૂચના
  • પીવાના પાણી, સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે બેઠક યોજાઈ

જૂનાગઢ, 5 ફેબ્રુઆરી: આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા અને પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો મહાવદ નોમ અને 5મી માર્ચથી પ્રારંભ થશે. મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં લઈને કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 3 ફેબ્રુઆરીના રોજ કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેકટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે વિચારણા કરવામાં આવી હતી.

પીવાના પાણીથી લઈ આરોગ્ય સહિતની સુવિધાઓ

કલેક્ટરે મોટી સંખ્યામાં ઉમટનાર ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ સાથે પણ જરૂરી સુવિધા ઉભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝીટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.

ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર સામે લેવાશે પગલાં

શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાઈ તે માટે ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી. આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત પરિવહન સુવિધા માટે વધારાની એસટી બસો અને ટ્રેન દોડાવવા માટેનું આયોજન હાથધરવા પણ નિર્દેશ આપ્યા હતા.

યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરુ કરાશે

મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો જૂનાગઢના અન્ય દર્શનીય સ્થળોએ પણ જતા હોય છે, જેથી ગિરનાર, ઉપરકોટ, રોપ વે, મ્યુઝિયમ, સહિતના સ્થળોએ જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં દૂધ, એલપીજી સિલિન્ડર, રીક્ષા ભાડું સહિત અન્ય ચીજ વસ્તુઓ નિયત થયેલ દરે જ વેચાણ થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, અધિક નિવાસી કલેકટર એન.એફ ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર ઝાપડા, નાયબ પોલીસ અધિક્ષક અનિલ પટણી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પરમાર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Back to top button