ધર્મ

પરિક્રમા મહોત્સવ: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્યશક્તિ પીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન તા. 8થી10 એપ્રિલના દિવસોએ શ્રી પ૧ શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે.

Text To Speech

આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિક્રમાના પ્રારંભ અવસરે આવતીકાલ શુક્રવાર તા.8 એપ્રિલે સાંજે અંબાજી ધામ પહોચીને આદ્યશક્તિ અંબાના પૂજન-અર્ચન કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે રૂ. 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ થનારા રિનોવેશન કાર્યો અને યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરશે.તેઓ ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન અને અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ પણ કરશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોંન્ચ કરવામાં આવશે

 

આવતીકાલના કાર્યક્રમો વિશે જાણો

શ્રી 51 શક્તિપીઠ ત્રિદિવસીય  પરિક્રમા મહોત્સવ અંતર્ગત તારીખ 8 એપ્રિલના રોજ સવારે-6.00 થી 7.00 વાગ્યા સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. ત્યારબાદ સવારે-7.00 થી બપોરે-11.00 સુધી શોભાયાત્રા, જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજીની 51 દિકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. સવારે-9.00 થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-10.00 થી સાંજે-4.00 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન,સત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે-6.30 કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.

9 એપ્રિલના રોજ યોજાનારા કાર્યક્રમો

ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે તા. 9 એપ્રિલના રોજ સવારે-9.00 થી બીજા દિવસ 9.00 સુધી (24 કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના 646 મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવશે. સવારે-9.00 થી બપોરે-1.00 સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે. સવારે-9.00 થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-10.00 થી સાંજે-4.00 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન,સત્સંગ કાર્યક્રમો યોજાશે.  

10 એપ્રિલના રોજ યોજાનારા કાર્યક્રમો

તા. 10 એપ્રિલના રોજ સવારે-9.00 થી બીજા દિવસ 9.00 સુધી (24 કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે. સવારે-9.00 થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.

Back to top button