

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. આમ આદમી પાર્ટી ગુજરાત પર ખાસ ફોકસ કરી રહી છે. આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધી રહ્યો છે. અરવિંદ કેજરીવાલને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલે પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને ગેરંટીઓ આપી છે. આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે, એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવામાં આવશે. ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ.

આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે. ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડનો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર સહિતનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે. જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે. આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.