ચૈત્ર નવરાત્રિનું આજે છઠ્ઠુ નોરતુઃ માં દુર્ગાની કાત્યાયની સ્વરૂપે કરો પુજા


નવરાત્રિના પર્વનો છઠ્ઠો દિવસ ખાસ કરીને વિવાહ યોગ્ય કન્યાઓ માટે અમોઘ ફળદાયી છે. માતાજીના આ સ્વરૂપની પૂજાથી માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. માન્યતા મુજબ વિવાહ યોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીનું પૂજન કરી શકે છે. સહજ શ્રૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન ફળદાયી રહે છે.
આ મંત્રથી માતાજીની આરાધના કરો
चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
ॐ देवी कात्यायन्यै नमः॥
કાત્યાયની માતાના આ સ્વરૂપ સાથે છે પૌરાણિક માન્યતા
મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતાં. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું. માતા કાત્યાયનીની ઉપાસનાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે. સાધકોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. વિજયાદશમીના દિવસે માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો.
ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
આવું છે માંનું સ્વરૂપ
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.
આ પણ વાંચોઃ નવરાત્રિના નવમાં દિવસે માતા સિદ્ધીદાત્રીની કેમ કરાય છે પૂજા, જાણો કથા