ટ્રેન્ડિંગનેશનલ

ભરણપોષણ મેળવવા માટે પત્નીએ લગ્નનો પુરાવો આપવાની જરૂર નથી: ઝારખંડ હાઈકોર્ટ

Text To Speech

ઝારખંડ, 26, જાન્યુઆરી: ઝારખંડ હાઈકોર્ટે તાજેતરની સુનાવણીમાં ચુકાદો આપતાં કહ્યું છે કે ભરણપોષણ મેળવવા માટે પત્ની તરીકે તેની સાથે રહેતી મહિલાને લગ્નના નક્કર પુરાવા આપવાની જરૂર નથી. કોર્ટે કહ્યું છે કે આવા કેસમાં જ્યારે પુરાવા રેકોર્ડ પર હાજર હોય ત્યારે નક્કર પુરાવા આપવાની જરૂર નથી. આ સાથે જ કોર્ટે રાંચી ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિની અરજીને ફગાવી દીધી છે.

શું છે આ સમગ્ર મામલો?

રાંચીની ફેમિલી કોર્ટે વિવાદના એક કેસની સુનાવણી દરમિયાન પતિને પત્નીને દર મહિને પાંચ હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટના આ નિર્ણયને પતિ રામ કુમાર રવિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે તેનું માસિક ભરણપોષણ પાંચ હજાર રૂપિયાથી ઘટાડીને ત્રણ હજાર રૂપિયા કર્યું પરંતુ તેની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે ભરણપોષણ મેળવવા માટે પત્નીએ લગ્નનો પુરાવો આપવાની જરૂર નથી. પત્નીએ આરોપ લગાવ્યો છે કે પતિને વિકલાંગ અનામત શ્રેણીમાં સરકારી નોકરી મળી હતી. આ પછી પતિએ તેને છોડી દીધી હતી.

કોર્ટે વૈવાહિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો

25 જાન્યુઆરીના રોજ મેટ્રિમોનિયલ કેસની સુનાવણી દરમિયાન ઝારખંડ હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધો અંગેના નિર્ણયમાં ધાર્મિક ગ્રંથોને ટાંક્યા હતા. જસ્ટિસ સુભાષ ચંદે 25 પાનાના આદેશમાં ભારતમાં મહિલાઓ લગ્ન પછી તેમના પતિના પરિવાર સાથે કેવી રીતે રહેવા આવે છે તેના પર તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંક્યા હતા. જસ્ટિસ ચંદે પોતાના આદેશમાં ઋગ્વેદ, યજુર્વેદ, મનુસ્મૃતિના અવતરણો પણ ટાંક્યા અને ટેરેસા ચાકોના પુસ્તક ‘ઇન્ટ્રોડક્શન ટુ ફેમિલી લાઇફ એજ્યુકેશન’ પણ ટાંક્યા.

ભારતમાં પશ્ચિમના દેશો જેવું નથી હોતું:  જસ્ટિસ સુભાષ ચંદ

જસ્ટિસ સુભાષ ચંદે કહ્યું હતું કે પશ્ચિમી દેશોમાં પુત્ર લગ્ન પછી પરિવારથી અલગ થઈ જાય છે, પરંતુ ભારતમાં આવું નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને જસ્ટિસ ચાંદે જણાવ્યું હતું કે લગ્ન પછી પત્નીએ તેના પતિના પરિવાર સાથે રહેવું પડે છે સિવાય કે તેમના અલગ થવાનું કોઈ વ્યાજબી કારણ હોય તો તે પરિવારથી અલગ થઈ શકે છે.

આ પણ વાંચો: કેલિગ્રાફીમાં લખાયેલું આપણું બંધારણ, આ કળા શું છે? જાણો

Back to top button