પ્રોટેમ સ્પીકરનો વિવાદ કેમ ઊભો કરવામાં આવી રહ્યો છે? સત્ય શું છે? જાણો અહીં

- કોંગ્રેસે સુરેશની જગ્યાએ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવા પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી, 22 જૂન, 18મી લોકસભાની કાર્યવાહી સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જો કે આ પહેલા જ નીચલા ગૃહના પ્રોટેમ સ્પીકરને લઈને વિવાદ થયો હતો. કોંગ્રેસે આ મામલે ભાજપ પર સંસદીય પરંપરાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે તેના આઠ વખતના સાંસદ કોડીકુનીલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવા જોઈએ. તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને આ જવાબદારી સોંપવી ખોટું છે.
સુરેશ પ્રોટેમ સ્પીકર કેમ ન બની શક્યા ?
કિરન રિજિજુએ ગુરુવારે માહિતી આપી હતી કે, ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આના પર કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે સવાલ ઉઠાવ્યા અને X પર પોસ્ટ કર્યું. સુરેશ આઠમી વખત સાંસદ બન્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આઠ વખતના સાંસદ કે. સુરેશ પ્રોટેમ સ્પીકર કેમ ન બની શક્યા અને તેમના સ્થાને સાત ટર્મના ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને કેવી રીતે તક મળી?
તો વાસ્તવમાં, પ્રોટેમ સ્પીકર ગૃહના અસ્થાયી પ્રમુખ અધિકારી છે, જેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. તેમની જવાબદારી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવાની અને ગૃહના અધ્યક્ષની ચૂંટણીની અધ્યક્ષતા કરવાની છે. અહીં પ્રોટેમ સ્પીકરની નિમણૂકની પ્રક્રિયા બ્રિટિશ સંસદ જેવી જ છે. આને વેસ્ટમિન્સ્ટર સિસ્ટમ કહેવામાં આવે છે, જે જણાવે છે કે સ્પીકર પ્રો ટેમનું પદ એવા સભ્યને આપવામાં આવે છે જેણે સૌથી વધુ સમય સુધી સંસદમાં સતત સેવા આપી હોય. નવા સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી આ સભ્ય ગૃહની અધ્યક્ષતા માટે જવાબદાર રહેશે.
પ્રોટેમ સ્પીકર પદ માટે. ભર્તૃહરિ મહતાબની સરખામણીમાં સુરેશનો હાથ ઉપર છે, કારણ કે તે 8 વખત સાંસદ છે, જ્યારે મહતાબ 7 વખત સાંસદ બની ચૂક્યા છે. જો કે, અહીં સુરેશની વિરૂદ્ધમાં એક મહત્ત્વનો ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત થાય છે. વાસ્તવમાં, ભર્તૃહરિ મહતાબ લોકસભા સાંસદ તરીકે સતત 7 મુદત પૂર્ણ કરી ચૂક્યા છે, જ્યારે સુરેશ 8 વખત સાંસદ રહી ચૂક્યા છે ખરું, પરંતુ તેમને 1998 અને 2004માં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે લોકસભાના સભ્ય તરીકે આ તેમનો સતત ચોથો કાર્યકાળ છે અને તેથી તેમને પ્રોટેમ સ્પીકર પદ માટે લાયક ગણવામાં આવતા નથી. આ પહેલા 17મી લોકસભામાં પણ રાષ્ટ્રપતિ દ્વારા વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. તે સમયે તેઓ સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા સંસદ સભ્ય હતા. તે સમયે પણ મેનકા ગાંધી સૌથી વરિષ્ઠ સાંસદ હતાં, પરંતુ તેમનો કાર્યકાળ સતત ન હતો અને તેથી તેમને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યાં ન હતાં.
આ પણ વાંચો..જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માગણી કરી