ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ?

ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ. આ મહિનામાં લીમડાના ઝાડ પર મોર આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં મોરનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પીવે છે. તમે બંને વસ્તુ ભેગી કરીને તેનો રસ પી શકો છો.

ચૈત્ર મહિનાના પહેલાં આઠ દિવસમાં લીમડાનાં દસ કુમળાં પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. ચૈત્રમાં લીમડાના ઝાડ પર જે ઝીણાં ફુલ એટલે કે મોર બેસે છે, તેને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક માનવામાં આવે છે. પહેલાંના જમાનામાં તો દાતણ માટે પણ લીમડાની ડાળી વપરાતી હતી દાતણ માટે. એનાથી દાંતમાં સડો થતો ન હતો. રોજ આ નિયમ રાખવાથી દાંતની તકલીફો આવતાં પહેલાં જ અટકી થાય છે. કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આ પ્રયોગથી ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાંથી પણ રક્ષણ મળે છે.

ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ? hum dekhenge news

આ છે લીમડાના ફાયદા

લીમડો શીતળ, હળવો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. તે ઘા રુઝાવે છે અને સોજો ઉતારે છે તેમ જ કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુ મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે.

આખુ વર્ષ કફ-પિત્તથી બચવું હોય તો આ કરો

આખું વરસ કફ-પિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં આઠ દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવાનું પણ કહેવાયું છે. રસમાં એકલો કડવો રસ હોય છે અને એટલે એને અજમો, સિંધવ અને કાળાં મરી જેવા મસાલાઓથી ગુણસંતુલન કરવામાં આવે છે. મલેરિયામાં જ્યારે ક્વિનાઇનની અસર ન થાય ત્યારે લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળાં મરીનો ઉપયોગ અકસીર નીવડે છે. તાવ ગયા પછીની રિકવરીમાં પણ આ પ્રયોગ સારા પરિણામ આપે છે.

ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ? hum dekhenge news

ત્વચા માટે પણ ગુણકારી છે લીમડો

નીમ ત્વચા માટે ગુણકારી છે. ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે. લીમડાથી એ બન્ને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદ્ભુત દવા ગણાય છે. લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરવાનો ગુણ ધરાવે છે. ખીલ થવાં, ખરજવું થવું, ચામડીમાં બળતરા થવી, જેવી તકલીફોમાં લીમડો રાહત આપે છે. .

પેટના કૃમિમાં પણ ફાયદાકારક

પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી તે નીકળી જાય છે. લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાનાં પાન વાટી તેમાં ચપટીક હિંગ ભેળવીને ખાઈ જવાં.

તાવ પણ મટાડે છે લીમડાનો રસ

પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને એને ખૂબ જ ફીણવો. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જશે.

ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ? hum dekhenge news

શરીરની ગરમી દુર કરશે લીમડાનો રસ

લીમડાનાં પાનના રસમાં ચપટીક ખડીસાકર મેળવીને આઠ-દસ દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે. લીમડો ખૂબ ગુણકારી છે, પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું. બારે માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી.

ચૈત્ર મહિનામાં જ પીવાય છે લીમડાનો રસ

ચૈત્ર મહિના દરમ્યાન રોગી-નીરોગી સૌએ લીમડાનો રસ પીવો જોઈએ, પરંતુ બારે માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી. લીમડાનો બાહ્ય ઉપયોગ છૂટથી કરી શકાય, પરંતુ મોં વાટે લેતાં પહેલાં શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચોઃ હિંદુ નવવર્ષની કુંડળીમાં મોટો સંકેતઃ જાણો કેવું રહેશે આવનારુ નવું વર્ષ

Back to top button