શ્રાવણ મહિનામાં ક્યારે આવશે વિનાયક ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ


- દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસ વિનાયક ચતુર્થી તરીકે ઉજવાય છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે. દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસ વિનાયક ચતુર્થી તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિનું વરદાન આપનાર ભગવાન ગણેશને વિનાયક પણ કહેવામાં આવે છે. તેથી આ ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ વખતે આ વ્રત 08 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.
વ્રતનું મહત્ત્વ
વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય તમામ કામ સરળતાથી પૂર્ણ થાય છે અને તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માન્યતાઓ અનુસાર વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શુભ સમય
વિનાયક ચતુર્થી 7 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 1:05 વાગ્યે શરૂ થશે અને 8 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 12:26 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ પ્રમાણે વિનાયક ચતુર્થીનું વ્રત 8 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.
આ રીતે કરો ગણેશજીની પૂજા
- વિનાયક ચતુર્થીના વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સંકલ્પ લેવો.
- પૂજા સ્થાન પર એક પાટલો કે બાજઠ મૂકીને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
- ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવો.
- ભગવાન ગણેશને ચંદન, ફળ, બદામ અને ફૂલ અર્પણ કરો.
- તેની સાથે મોદકના લાડુ અથવા મીઠાઈઓ ચઢાવો.
- અંતમાં ગણેશ ચાલીસાનો પાઠ કરો અને આરતી કરો.
આ પણ વાંચોઃ આવનારા 44 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ચાલ બનાવશે માલામાલ