પશ્ચિમ બંગાળ: ભઠ્ઠાની ચીમની કામદારો પર પડતા 3 કામદારોના મૃત્યુ, 30 ઘાયલ


- પશ્ચિમ બંગાળના 24 પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની તૂટી પડતા ત્રણ મજૂરોના મૃત્યું
- મૃત મજૂરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
- 30 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પશ્ચિમ બંગાળ, 14 ડિસેમ્બર: પશ્ચિમ બંગાળમાં 24 પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી હતી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મૃત્યું થયા છે જ્યારે 30થી વધુ કામદારો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટના 24 પરગણાના બસીરહાટના ધલતીતાહ ગામમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અહીં ઇંટના ભઠ્ઠામાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. અહીં 60 થી વધુ મજૂરો પોતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્ય ચીમની નીચેથી તૂટીને એક તરફ લટકી ગઈ હતી. જ્યાં સુધી કામદારોએ આ ચીમની જોઈ અને ત્યાંથી ખસી ગયા ત્યાં સુધીમાં ચીમની કામદારો પર પડી હતી. આ ચીમનીના કારણે કુલ 33 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી બે મજૂરોનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું, જ્યારે બાકીના 31 ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એક મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. બાકીના 30 મજૂરોને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
તબીબોના જણાવ્યા અનુસાર, આમાંના એક ડઝનથી વધુ ઘાયલ મજૂરોની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં, ભઠ્ઠા માલિક સામે અજાણતા હત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચીમની તૂટી પડવાની ઘટનાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચો, US સંસદે પ્રમુખ બાઈડનના મહાભિયોગની તપાસને આપી મંજૂરી