માલપુરઃ રાજવી પરિવારમાં વિજયા દશમીની ઉજવણી, મહારાઓલજી તેજેન્દ્રસિંહજીએ કર્યું શસ્ત્રપૂજન


દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દશમી પર્વના દિવસે માલપુર મુકામે જુના માલપુર રાજ્યના રાજવી મહારાઓલજી સાહેબશ્રી તેજેન્દ્રસિંહજીએ રાજવી પરિવારો સાથે તથા માલપુર તાલુકાના ગામ વાવડી-પિપરાણા-મંગલપુર-પહાડીયા-સાતરડા-મગોડી-બામણી-પિસાલ-સાતરડા વગેરે ગામોના રાજપુત સરદારો સાથે મા કુળદેવી નાગણેશ્વરી માતાની પૂજા કરી હતી.
રાજવી મહારાઓલજી સાહેબશ્રી તેજેન્દ્રસિંહજીએ રાજવી પરિવારો સાથે દશેરાની ઉજવણી કરી હતી.
માલપુર દરબારગઢમાંથી દશેરાની સવારી નીકળી ઈષ્ટદેવ એવા ભવનાથ દાદાની પુજા કરી કોરવાડા કમ્પાઉન્ડમાં ઉજવવામાં આવેલ સમીવૃક્ષનું પુજન કરી સમૂહમાં શસ્ત્ર પુજન વિધાન સંપન કરવામાં આવ્યું હતું.
આ સવારી ભવ્યતા સભર તમામ રાજપુત સરદારો સાફા અને તલવાર સાથે મોટરસાયકલ અને ગાડીઓમાં નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સરદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
અરવલ્લી જિલ્લામાં ડુંગરોની તળેટીમાં આવેલું માલપુર ગામ પહેલા માલપુર સ્ટેટ હતું. જેના રાજવીઓ રાઠોડ કુળના હતા. તેઓ જ્યારે ગુજરાતમાં આવેલા ત્યારે સૌ પ્રથમ ઈડર સ્ટેટ વસાવ્યું હતું. ત્યારબાદ મોડાસા અને માલપુર ગામે ગાદી સ્થાપી હતી.
રાવ સોનગંજીના વંશજ રાઠોડ રાજાઓએ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. માલુપર 127 ગામોનું રજવાડું હતું. જેનાં પૂર્વ રાજવી નેકનામદાર મહારાઓલજી સાહેબશ્રી જશવંતસિંહજી મહારાજા સાહેબ બ્રિટિશ ગર્વમેન્ટ સમયે મહીકાંઠા એજન્સીનાં પોલીટીકલ એજન્ટના ચાર્જમાં રહેતા હતા. દશેરાના દિવસે માલપુર ગામમાં વિજયા દશમીનાં પર્વના રોજ સવારી હાથી ઉપર નીકળતી હતી.