ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“પીએમ કેર ફંડમાંથી પીડિતોને મદદ કરવી જોઈએ”, મલ્લિકાર્જુન ખડગેની પૂરગ્રસ્ત હિમાચલ માટે કેન્દ્રને અપીલ

હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (10 જુલાઈ, 2023) કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યો માટે પીએમ કેર ફંડમાંથી વધારાની રાહત રકમ આપવાની માંગ કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરી લોકો માટે સહાય માંગી

આજે સવારે ટ્વિટ કરીને હિમાચલ પ્રદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ધારાસભ્યોને તેમના વિસ્તારના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

પીએમ કેર ફંડમાંથી મદદ માટે કરી વિનંતી

તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે ઉત્તર ભારતના રાજ્યોમાં અતિવૃષ્ટિને કારણે અનેક લોકોના મોત દુઃખદ અને પીડાદાયક છે. તેમણે વધુમાં કહ્યું, “કેન્દ્ર સરકારને હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યો માટે પીએમ કેર ફંડમાંથી વધારાની રાહત રકમ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવે છે.” ખડગેએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ પીડિતોને મદદ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સાથે છે.

કોંગ્રેસના ધારાસભ્યોને પીડિતોને મદદ કરવા સૂચના આપાઈ

ખડગેએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશની સ્થિતિને જોતા તેમણે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાથે પણ વાત કરી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે રાજ્યમાં રાહત કાર્યમાં તેજી આવી છે અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં મુશળધાર વરસાદથી પ્રભાવિત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને SDRF અને NDRFની ટીમો કામ કરી રહી છે. તેમણે કહ્યું, “પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવશે અને જાનમાલના નુકસાનની ભરપાઈ કરવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવશે. અમે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને દરેક રીતે મદદ કરવા સૂચના આપી છે. કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરુ છું કે તેઓ લોકોની મદદ કરવામાં તેમનું યોગદાન આપે.”

હિમાચલમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર

છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે હિમાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઘણા મકાનો અને દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. મનાલી, કુલ્લુ, કિન્નૌર અને ચંબા જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: નદીઓ બની ગાંડીતુર, રસ્તા બન્યા સમુદ્ર, ઉત્તરાખંડથી બિહાર સુધી મુશળધાર વરસાદની આગાહી

Back to top button