ગુજરાતટોપ ન્યૂઝ

પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે કરોડોના પ્રોજેક્ટસનું અમલીકરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી. રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે 13 કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે 80 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.

pilgrimage Pavagadh temple
pilgrimage Pavagadh temple

એટલું જ નહિ, ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ. 33 કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-3 અને ફેઝ-4 નો કુલ મળીને રૂ. 183.35 કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, પ્રવાસન અગ્ર સચિવ હારિત શુકલા તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના રાવલ અને પંચમહાલ જિલ્લા કલેકટર, વરિષ્ઠ અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલટન્ટસ હાજર રહ્યા થયા હતા.

પાવાગઢ ખાતે આવનારા નવયુવાઓ અને રમતપ્રેમી નાગરિકોના મનોરંજન માટે એડવેન્ચર એક્ટિવીટીઝ પણ હાથ ધરવામાં આવી રહિ છે અને આગામી તા.11 ફેબ્રુઆરીથી તા. 17 ફેબ્રુઆરી, 2023 દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને કલેકટર, પંચમહાલના સંયુકત સંકલનથી પાવાગઢ ખાતે હોટ એર બલુન, પેરાગ્લાઇડીંગ, રોક કલાઇમ્બિંગ, પેરાશૂટ, પેરા મોટરીંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

Pavagadh mandir
Pavagadh mandir

રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.179.૦૦ કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરીસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરીસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે.

તા. 18 જૂન-2022ના દિવસે પીએમ મોદીના હસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું અને ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 મહિનામાં જ 50 લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પાવાગઢ દર્શન માટે યાત્રીકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

Back to top button