વડોદરા બોટ દુર્ઘટનાઃ પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, VMCની બેદરકારીની રજૂઆત


વડોદરા, 23 જાન્યુઆરી 2024, શહેરના હરણી લેકમાં બોટ દર્ઘટના થયા બાદ પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની અરજી સુપ્રિમમાં દાખલ કરાઇ છે. સુપ્રીમ કોર્ટમાં કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા સ્કૂલના જવાબદાર, VMC કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્ય સામે પગલાં લેવા માંગ કરાઇ છે. VMC અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની રજૂઆત કરાઈ છે.VMCની બેદરકારીની રજૂઆત કરાઇ છે. સુપ્રીમ કોર્ટમાં VMCના કમિશનર વિનોદ રાવે નોટરાઈઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે.
હાઈકોર્ટમાં વકીલ મંડળે સુઓમોટો માટે વિનંતી કરી હતી
18 જાન્યુઆરીના રોજ હરણી લેક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. વડોદરા દુર્ઘટના મામલે હાઈકોર્ટે રવિવારે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ મામલે 29 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટે સમાચાર સંસ્થાઓના અહેવાલને ટાંકીને સુઓમોટો દાખલ કરી છે.
કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે
આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યારે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.