પતંગબાજોને પડી જશે મોજ, જાણો આજે કેવો રહેશે પવન


અમદાવાદ, તા.14 જાન્યુઆરી, 2025ઃ આજે ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ વિશ્વ વિખ્યાત છે. આ પર્વ મનાવવા કોટ વિસ્તારમાં આવેલી પોળોના મકાનોની ખાસ માંગ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. પતંગ ઉડાવવા માટે અનુકૂળ હવા રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ આવતાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટરની રહેશે. આ ઝડપ પતંગ ચગાવવા માટે યોગ્ય છે. નિષ્ણાતોના કહેવા મુજબ પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.
અમદાવાદમાં 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે વડોદરામાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, રાજકોટમાં 10 થી 15 કિલોમીટરની ઝડપે અને સુરતમાં પણ 15 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે.
આ પણ વાંચોઃ સ્વામી વિવેકાનંદને યુવાનો પર ભરોસો હતો, મને તેમના વાત પર આસ્થા છેઃ પીએમ મોદી