આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ મળશે ફ્રી સારવાર, જાણો શું કરવું પડશે


નવી દિલ્હી, તા. 16 માર્ચ, 2025: સ્વાસ્થ્ય તમામના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે લોકો પૂરો પ્રયાસ કરે છે. બીમારી અને તેની સારવારના ખર્ચથી બચવા માટે લોકો પહેલાથી જ બંદોબસ્ત કરી લે છે. અનેક લોકો સારવારના તોતિંગ ખર્ચાથી બચવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે. જરૂરિયાતના સમયે ખિસ્સા પર અચાનક ભાર ન પડે તે માટે વીમો ઉતરાવે છે. પરંતુ તમામ લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ લઈ શકે તેવી વ્યવસ્થા નથી હોતી. આવા લોકોને ભારત સરકાર મદદ કરે છે.
2018માં શરૂ કરવામાં આવી હતી સ્કીમ
સરકાર તરફથી વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર આપે છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત સારવાર કરાવવા માટે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. જેની મદદથી તમે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફ્રી લાભ લઈ શકો છો.
આયુષ્માન કાર્ડ ખોવાઈ, ફાટી જાય તો કેવી રીતે લાભ લેશો
ઘણી વખત અનેક લોકોના આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય છે. તો અમુકના કાર્ડ તૂટી જાય છે. આ સ્થિતિમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આયુષ્માન કાર્ડ ખોવાઈ કે તુટી ગયું હોય તો પણ સારવાર મળે છે. આવી સ્થિતિમાં જે હોસ્પિટલમાં સારવાર કરાવવી હોય તે હોસ્પિટલના આયુષ્માન મિત્ર હેલ્પ ડેસ્ક પર જવું પડશે. ત્યાં તમારું આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું કે ફાટી ગયું છે તેમ જણાવવું પડશે. આ પછી આયુષ્માન મિત્ર ડેસ્ક પર રહેલા ઓપરેટરને મોબાઈલ નંબર જણાવવો પડશે. આયુષ્માન કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર આપ્યા બાદ તમારી ઓળખ વેરિફાઈ કરવામાં આવશે. આ પછીતમે ફ્રી સારવારનો લાભ ઉઠાવી શકશો.
અહીંયા પણ નોંધાવી શકો છો ફરિયાદ
જો તમારી વાત સાંભળવામાં ન આવે તો 1455 નંબર ડાયલ કરીને આ અંગે ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ અમેરિકન પોડકાસ્ટર સાથે વાતચીતમાં શું બોલ્યા પીએમ મોદી? RSS – પાકિસ્તાનને લઈ કહી આ વાત