કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો, મોદી સરકારે 2,000 બિનજરૂરી નિયમો-કાયદાને નાબૂદ કર્યા


- અસુવિધા પહોંચાડતા નિયમોને દૂર કરવાની હિંમત દેખાડી
- પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવા ટેક્નોલોજીનો ઉપયોગ વધાર્યો
- આરોગ્ય સેવા સુધારવા હેલ્થ સેક્ટરમાં ઇનોવેશન વધાર્યું
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર રચાયા બાદ ગવર્નન્સ અને બિઝનેસની સરળતા માટે છેલ્લા 9 વર્ષમાં 2,000થી વધુ નિયમો અને કાયદાને નાબૂદ કર્યા છે તેવો દાવો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યો છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા સિંહે કહ્યું કે, અગાઉની સરકારોથી વિપરીત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને અસુવિધા પહોંચાડતા નિયમોને દૂર કરવાની હિંમત અને દૃઢતા દર્શાવી હતી, જેમાંથી ઘણા બ્રિટિશ રાજના સમયના બન્યા હતા. તેમણે કહ્યું કે સુશાસનનો અંતિમ ઉદ્દેશ્ય નાગરિકો માટે જીવન સરળ બનાવવાનો છે.
પેન્શન પ્રક્રિયાને સરળ બનાવી
પેન્શનના સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચહેરો ઓળખવાની ટેક્નોલોજી રજૂ કરવામાં આવી હતી જેથી વરિષ્ઠ નાગરિકોને જીવન પ્રમાણપત્રો મેળવવાની કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. મોટા ભાગનું કામ ઓનલાઈન રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને પારદર્શિતા, જવાબદારી અને નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માનવીય ઈન્ટરફેસને ન્યૂનતમ રાખવામાં આવ્યો હતો.
આરોગ્ય સેવામાં ઇનોવેશન
આરોગ્ય સંભાળ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ રોગચાળા દરમિયાન ટેક્નોલોજી અને ટેલિમેડિસિનનો ઉપયોગ દર્શાવે છે કે કેવી રીતે ઇનોવેશન દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે માત્ર ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું નથી, પરંતુ નવા સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે. આરોગ્ય ક્ષેત્રે પણ ઇનોવેશન આવવાથી શહેરીજનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.