અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ

  • સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય
અમદાવાદ, 3 ઓક્ટોબર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુરુવારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિત રહ્યા હતા. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે પણ બાળકોને સાઉન્ડ થેરાપી આપવામાં આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Amit shah
કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાં બાળકો સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંવાદ સાધીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરની મદદથી જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DEIC) ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. વધુમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ સંદર્ભે ‘A Comprehensive Guide to Hearing, Speech, and Language Development in Children with Cochlear Implants.’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતુ. અમિત શાહે ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવીને સેન્ટર મુલાકાત લઇ સમગ્રતયા કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતુ.
સરકાર દ્વારા રૂ. 25 લાખના ખર્ચે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ

મહત્ત્વપૂર્ણ છે કે, કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવેલા બાળકોને રિહેબિલિટેશનમાં સ્પીચ થેરાપીની તાકીદે જરૂરિયાત રહેતી હોય છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી બાળકોને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી સેશન માટે આવવું પડતું હતું. અમદાવાદથી દૂર રહેતા દર્દીઓને મુસાફરી ખર્ચ, ઓડિટરી વર્બલ થેરાપીના અભાવના પરિણામે આ લાભ નહિવત પ્રમાણમાં મળતો હતો. જેના કારણે બાળકમાં સાંભળવાનું તથા બોલવાનો વિકાસ અપૂરતો રહી જતો હતો. જેથી કેટલાક કિસ્સામાં આ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીનું સફળ પરિણામ મળતું ન હતું. રાજ્ય સરકાર દ્વારા રૂ. 25 લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કૉલેજની મદદથી ટેલિ-રિહેબિલિટેશન માટે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેથી આ કાર્યક્રમના સાર્થક પરિણામ મળે અને બાળકો સર્જરી બાદ બોલતા અને સાંભળતા પણ થાય.

ટેલિ-રિહેબિલિટેશનની મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DEIC) ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. આ સેન્ટરથી વીડિયો કોલિંગ કરીને સાઉન્ડ પ્રુફ અદ્યતન રૂમ્સમાં આવાં બાળકોને થેરાપી આપવામાં આવશે. આ કેન્દ્રો પણ પીડિયાટ્રિક ,ઓડિયોલોજિસ્ટ અને આર.બી.એસ.કે. વર્ક્સ એક સાથે કનેક્ટ થશે. અગાઉ ફક્ત ઓડિયો માધ્યમથી આ સેવા ઉપલ્બધ હતી. હવે આ ટેલી-રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત બનતા વીડિયો કોલિંગના માધ્યમથી સમગ્ર થેરાપી હાથ ધરાશે.

કેન્દ્રીય મંત્રીના હસ્તે ઓડિયોલોજી કૉલેજના આધુનિકરણનું લોકાર્પણ

ઓડિયોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 35 લાખ ફાળવવામાં આવ્યા છે. જેની મદદથી આંતરાષ્ટ્રીય સ્તરના નવા 7 સાઉન્ડપ્રૂફ રૂમ બનાવવામાં આવ્યા છે. આ સાઉન્ડ પ્રૂફ રૂમના બનવાથી સાંભળવાની, બોલવાની, ચક્કરની તકલીફ તથા જેમને પક્ષઘાત પછી થતી ખોરાક ગળવાની તકલીફ હોય તેવા દર્દીઓ તેમની તપાસણી સાથે થેરાપી રૂપે સારવાર મેળવી શકશે. ઓડિયોલોજી કોલેજમાં વેસ્ટિબ્યુલોનીસ્ટેગ્મોગ્રાફી (VNG) વસાવવામાં આવ્યું છે. આ સાધન, ચક્કર આવાનાં કારણો શોધવામાં મદદરૂપ છે. દર્દીને કાનમાં તકલીફ હોવાના કારણે કે મગજમાં તકલીફ હોવાના કારણે ચક્કર આવે છે, તે આ સાધનના મદદથી નિદાન કરી શકાશે. તદ્ઉપરાંત સ્ટ્રોક, ગળાનું કેન્સર કે કોઈ અન્ય ચેતાતંત્રની તકલીફના કારણે ખોરાક ગળવાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આધુનિક સાધન વાઇટલ સ્ટીમ્યુલેશન વસાવવામાં આવ્યું છે. આ સાધન ગળાના ખોરાક ગળવાની સ્નાયુને ઉત્તેજિત કરે છે.

‘A Comprehensive Guide to Hearing, Speech, and Language Development in Children with Cochlear Implants.’ નામના પુસ્તકનું  પણ વિમોચન કરવામાં આવ્યું હતુ. આ પુસ્તક કોક્લિયર ઈમ્પ્લાન્ટ ધરાવતા બાળકોમાં વિવિધ સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શ્રવણ, વાણી અને ભાષાના વિકાસને દર્શાવવા માટે બનાવાયું છે. આ પુસ્તકમાં સાંભળવાનું તથા બોલવાનું અને ભાષાના ક્ષમતાના વિકાસ પર કેન્દ્રિત ત્રણ મૉડ્યુલનો સમાવેશ થાય છે. જે નિષ્ણાત અને માતા-પિતાને બાળકના સાંભળવાનું, બોલવાનું અને ભાષાના વિકાસ સાથે સંકળાયેલા નિશ્ચિત લક્ષ્યો નિર્ધારિત કરવામાં અને તેની પ્રવૃત્તિઓ પસંદ કરવામાં સહાયતા કરશે.

જાણો વધુ વિગતો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા સાથે 20 વિદ્યાર્થીઓની બેઠકોની મંજૂરી સાથે  ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ  શરૂ કરાઇ હતી. આ કૉલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો અભ્યાસક્રમ કુલ 4 વર્ષનો છે, જેમાં 3 વર્ષ અભ્યાસક્રમ અને 1 વર્ષ ઇન્ટર્નશીપ છે.

અમદાવાદના સોલા ખાતેની G.M.E.R.S. મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ એ રાજ્યમાં બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અભ્યાસક્રમ શરૂ કરનાર સર્વપ્રથમ સરકારી મેડિકલ કૉલેજ છે. હાલમાં ભારતનાં 4 રાજ્યોમાં સરકાર દ્વારા આ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં કૉલેજ ખાતે કુલ 3 સાઉન્ડપ્રૂફ અને 7 સ્પીચ થેરાપી રૂમના ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાંભળવાની તકલીફ અને બોલવાની તકલીફ ધરાવતા તથા કોક્લિયર ઈમ્પ્લાન્ટવાળા દર્દીઓને સેવા આપવામાં આવતી હતી.

આ પણ જૂઓ: PM Kisan Yojana: 5 ઓક્ટોબરે આવશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો, લાભાર્થીમાં તમારું નામ છે કે નહીં આ રીતે કરો ચેક

Back to top button