કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી બાંગ્લાદેશના ગૃહમંત્રી સાથે મુલાકાત, વાતચીતમાં ઉઠાવ્યો આ મુદ્દો


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ અંગે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાનને ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સ સમયે મળ્યા હતા. તેવું ગૃહ મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું.

બંને પક્ષોએ સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે, ખાન અહીં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજા મંત્રી સ્તરીય ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા છે. તે બે દિવસીય કોન્ફરન્સ છે. શુક્રવારે, કોન્ફરન્સમાં 75 થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 450 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
કોન્ફરન્સને સંબોધતા અમિત શાહે શું કહ્યું ?
અગાઉ, કોન્ફરન્સને સંબોધતા શાહે કહ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો છે, પરંતુ આતંકવાદને ફાઇનાન્સિંગ તેનાથી પણ વધુ ખતરનાક છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી સામગ્રી ફેલાવવા માટે ડાર્કનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી ક્રિપ્ટોકરન્સીના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. શાહે કહ્યું કે ડાર્કનેટ પેટર્નનો ઉકેલ શોધવાની જરૂર છે. ઉપરાંત સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય વ્યવસ્થામાં પ્રગતિ હોવા છતાં, આતંકવાદીઓ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આર્થિક સંસાધનો વધારવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે.