ગુજરાતટોપ ન્યૂઝ

કોરોનાકાળના બે વર્ષ બાદ મા ઉમિયા નગરયાત્રાએ નીકળ્યા, હજારો માઇભક્તો જોડાયા

Text To Speech

મહેસાણાઃ કોરોનાકાળના બે વર્ષ બાદ આજે ઊંઝામાં માતા ઉમિયાજી નગરયાત્રાએ નીકળ્યા છે. આજે સમગ્ર ઊંઝાના નગરજનો માની પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવશે. કડવા પાટીદાર સમાજની કુળદેવી અને અઢારે વર્ણમાં જેની આસ્થા અને શ્રદ્ધાની સરવાણી વહી રહી છે એવી જગત જનની મા ઉમિયા બે વર્ષ બાદ આજે ઊંઝા શહેરની નગરયાત્રાએ નીકળ્યા છે. ત્યારે નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

ઊંઝામાં આજે સવારે 8 કલાકે મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે નગરયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 1866 વર્ષમાંથી નિજમંદિર ઊંઝામાં બિરાજમાન જગત જનની મા ઉમિયાની નગરયાત્રા કોરોનાનો પગલે બે વર્ષ પછી નીકળી છે. નગરયાત્રામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળ, મહિલા મંડળ તેમજ સમગ્ર ગુજરાતના ઉમિયા પરિવારના સંગઠનના ભાઈઓ અને બહેનો સંસ્થાના કારોબારી સભ્યો તેમજ દાતાઓ રાજસ્થાન, મુંબઇ જેવા વિવિધ વિસ્તારોમાંથી મા ઉમિયાના ભક્તો જોડાયા હતા.

ઊંઝામાં આજે મા ઉમિયાના દર્શન કરવા શેરી, મહોલ્લા, સોસાયટીઓ, ગંજ બજાર અને રાજમાર્ગ પર લીલા તોરણ બાંધી સાડીઓ બિછાવીને તેમજ માતાજીને ઠેરઠેર આરતી અને પૂજા માઇક ભક્તો દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઊંઝાની ઓળખ એવા ઊંઝા એપીએમસી માર્કેટના તમામ વેપારીઓ અને માર્કેટયાર્ડના ચેરમેન અને તમામ સમાજના લોકો મા ઉમિયાને આવકાર્યા હતા.

નગરયાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક ભાઈ બહેનો, ભક્ત મંડળ જોડાયા હતા. આરોગ્ય સુખાકારી અને જનહિતાયના સૂચક ટેબ્લો સહિત અમદાવાદ સોલા ઉમિયા ધામ, અંબાજી ઉમિયા પરિક્રમણ અને ઉમિયા શ્રણમ મમના ટેબ્લો વગેરે જન સમુદાય માટે વિશેષ આકર્ષક જોવા મળ્યા હતા. આમ જુદી જુદી 151 જેટલી આકર્ષક ઝાખીઓમાંથી નગરયાત્રા સુશોભિત થઈ હતી. આ નગરયાત્રા 3 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટરની પરિક્રમા કરી નિજમંદિર બપોરે 1 કલાકે પરત ફરશે.

Back to top button