ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આગ્રામાં બ્રહ્મા કુમારી આશ્રમમાં રહેતી બે સગી બહેનોએ આત્મહત્યા કરી

  • બ્રહ્મા કુમારી આશ્રમમાં રહેતી બે સગી બહેનોએ કરી આત્મહત્યા.
  • બંને બહેનોએ એક સુસાઈડ નોટ મૂકી છે, જેમાં આશ્રમના સ્ટાફ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

ઉત્તર પ્રદેશ: આગ્રામાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી આશ્રમમાં રહેતી બે સગી બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આગ્રાના જગનેરમાં બની હતી. આત્મહત્યા કરતા પહેલા બંનેએ ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેઓએ આત્મહત્યા માટે સંસ્થાના ચાર લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. સુસાઈડ નોટમાં બંને બહેનોએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને આરોપીઓને આસારામની જેમ આજીવન કેદની સજા આપવાનું કહ્યું છે. તેમણે લખ્યું છે કે, યોગીજી આસારામ બાપુની જેમ આ આરોપીઓને આજીવન કેદની સજા અપાવજો.

બ્રહ્મા કુમારી આશ્રમની બે સગી બહેનો એકતા (38) અને શિખા (32)ના મૃતદેહ આગરાના જગનેરમાં બસેરી રોડ પર સ્થિત પ્રજાપિતા બ્રહ્મા કુમારી સેન્ટરમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી બે સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં માઉન્ટ આબુ અને ગ્વાલિયર સ્થિત કેન્દ્રો સાથે જોડાયેલા બે લોકો સહિત ચાર લોકો પર ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મામલો છેડતીના કારણે આપઘાતનો છે. ફરિયાદના આધારે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

તાંતપુર નિવાસી અશોક કુમાર સિંઘલની પુત્રીઓ એકતા અને શિખાએ લગભગ આઠ વર્ષ પહેલા માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારીના મુખ્યાલયમાં દીક્ષા લીધી હતી. આ પછી બંનેએ જગનેરમાં એક સેન્ટર શરૂ કર્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મોડી સાંજે તેમને રૂપવાસ સેન્ટરમાંથી માહિતી મળી કે તેમની બંને દીકરીઓએ આત્મહત્યા કરી લીધી છે ત્યારે તેઓ તુરંત ત્યા પહોંચ્યા હતા. બંને બહેનોના મૃતદેહ હોલમાં થોડે દૂર સાડી વડે ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બે સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં એકતાની ત્રણ પાનાની અને શિખાની એક પાનાની સુસાઈડ નોટ છે. સુસાઈડ નોટમાં નીરજ સિંઘલ નામના વ્યક્તિ પર છેતરપિંડી અને ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ખેરાગઢના ACP મહેશ કુમારે જણવ્યું છે કે, મામલો આત્મહત્યાનો છે. બે સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાંથી ગ્વાલિયર અને માઉન્ટ આબુના કેન્દ્રોના લોકો સહિત ચાર સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

આઠ વર્ષ પહેલા માઉન્ટ આબુમાં દીક્ષા લીધી

જગનેરના બ્રહ્મા કુમારી આશ્રમમાં આત્મહત્યા કરનાર બહેનોએ આઠ વર્ષ પહેલા માઉન્ટ આબુ ખાતે દીક્ષા લીધી હતી. તેમને પોતાના શહેરમાં જ બ્રહ્મા કુમારી કેન્દ્ર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સેન્ટર બનાવવા માટે બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી. તેમણે મથુરામાં પોતાનો પ્લોટ પણ સાત લાખમાં વેચીને પૈસા રોક્યા હતા.

આ લોકોને મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા

તાંતપુરની એકતા (38) અને શિખા (32)એ સુસાઈડ નોટમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમણે નીરજ, તેના પિતા તારાચંદ, ગુડ્ડન અને ગ્વાલિયરની મહિલા પર આરોપ લગાવ્યો. એકતાના નામે મળેલી ત્રણ પાનાની સુસાઈડ નોટની શરૂઆત વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કરેલી વિનંતીથી થાય છે.

સુસાઇડ નોટમાં એકતાએ લખ્યું છે કે, નીરજે સેન્ટરમાં રહેવાની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્ર બન્યા બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અમે બહેનો એક વર્ષ સુધી રડતી રહી પણ તેણે સાંભળ્યું નહીં. તેના પિતા ઉપરાંત ગ્વાલિયર આશ્રમમાં રહેતી એક મહિલા અને તારાચંદ નામના વ્યક્તિએ પણ તેને ટેકો આપ્યો હતો. 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પણ તેણે ગ્વાલિયરની એક મહિલા સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. ચારેયએ અમારી સાથે દગો કર્યો છે.

તે બદમાશ છે તેને કોઈ કંઈ કરી શકે નહીં

સુસાઈડ નોટમાં લખ્યુ છે કે, આરોપીઓ પૈસા પડાવવાની સાથે તેઓ મહિલાઓ સાથે અનૈતિક કામો પણ કરે છે અને તેમનું કોઈ કંઈ કરી શકે તેમ નથી તેમ કહીને વર્ચસ્વ બતાવે છે. સુસાઈડ નોટમાં બંને બહેનોએ જણાવ્યું કે આરોપીઓએ અનેક લોકો સાથે અન્યાય કર્યો છે. કોઈની પાસેથી પૈસા લીધા અને તેની સામે કેસ કર્યો. એકતાએ એમ પણ લખ્યુ છે કે તેની સુસાઈડ નોટ મુન્ની બહેન અને મૃત્યુંજય ભાઈને મોકલવામાં આવે.

સુસાઈડ નોટમાં લખ્યું- અમારી સાથે દગો થયો

સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે કે, ઘણી બહેનો આત્મહત્યા કરે છે અને આ લોકો તેને છુપાવે છે. અમારી બંને બહેનો સાથે દગો થયો છે. પાપી નીરજ સિંઘલ માઉન્ટ આબુમાં મોર્ડન કંપનીમાં કામ કરે છે. ગ્વાલિયર મોતી ઝિલની પૂનમ, તેના પિતા તારાચંદ અને તેની બહેનના સસરા ગુડ્ડન જે જયપુરમાં રહે છે. તે 15 વર્ષથી અમારી સાથે રહેતો હતો અને ખોટું બોલતો હતો. અમે કોઈ ભૂલ કરી નથી. અમારા તમામ નાણાં કેન્દ્રના નિર્માણમાં ખર્ચવામાં આવ્યા છે. અમને હંમેશા કહેવામાં આવતું કે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, મારા પિતા તારાચંદ વકીલ છે. તે મને કંઈ થવા દેશે નહીં.

આરોપીઓને આકરી સજા થવી જોઈએ

આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે, અમારી સાથે કોઈ નથી અમે એકલા છીએ. આથી આ પગલું ભરવું પડે છે. હું મારા વહાલા ભાઈઓ સોનવીર અને એન સિંહને વિનંતી કરું છું કે તમે બંને બહેનો વતી આ કેસ લડો. તમે અમારા સગા ભાઈ કરતાં વધુ છો. ભલે ગમે તેટલા પૈસા ખર્ચવામાં આવે. તમે તેને બહેનોની રાખડીના ગણી લેજો. આ ચારેય હત્યારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. આશ્રમમાં તમામ પુરાવાઓ રાખવામાં આવ્યા છે. કૃપા કરીને અમને ખોટા ન સમજવામા આવે. અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેની (આરોપી) પાસે અમારા રૂપિયા 25 લાખ છે. 7 લાખ મારા પિતાનો પ્લોટ વેચીને અપાવ્યા હતા.

સ્યુસાઈડ નોટમાં મૃતક બહેનોએ ચારેય આરોપીઓ સામે પૈસાની ઉચાપત તેમજ અનૈતિક પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. ACPના જણાવ્યા અનુસાર, ચારેય આરોપીઓ આગ્રા બહારના છે જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ બેની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચો,રણવીર સિંહે કરોડોમાં વેચ્યા બે ફ્લેટઃ સાઉથ બાંદ્રામાં રુ. 119 કરોડની પ્રોપર્ટી ખરીદી!

Back to top button