ગુજરાત

તારાપુરના દુગારીમાં ઝેરી કુવેર ખાતા બે ભેંસનાં મોત; બે ગંભીર

Text To Speech

આણંદઃ તારાપુર તાલુકાના દુગારી ગામે કુવેરમાં ઝેરી કુવેર ખાતા બે ભેંસોના મોત થયા છે. જ્યારે અન્ય ભેંસોને અસર થતાં આ મુદ્દે ભરવાડ અને ખેતર માલિક વચ્ચે ધીંગાણું થયું હતું. ભરવાડ ઘરમાં ઘુસી રોકડની ચોરી કરી ગયા હતા તો સામે પક્ષે ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરી બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. તો હાલ તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિતેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ રસિકભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘ગઈકાલે રાતે સાડા આઠ વાગ્યાના સુમારે ઘરે હિસાબ કરી રહ્યા હતા. ત્યારે સહદેવ ભીમાભાઈ ભરવાડ, કનુભાઈ બબાભાઈ ભરવાડ, સાદુડભાઈ ભીમાભાઈ ભરવાડ, ધીરૂભાઈ કનુભાઈ ભરવાડ, વાઘાભાઈ સાદુડભાઈ ભરવાડ, બચુભાઈ ભરવાડ, મહેશભાઈ બચુભાઈ ભરવાડ, કાશીભાઈ ભીમાભાઈ ભરવાડ અને ભીમાભાઈ બબાભાઈ ભરવાડ સહિત ત્રીસેક જેટલા ભરવાડોનું ટોળું આવી પહોંચ્યું હતું. ભરવાડોએ કુવેરમાં ઝેર ભેળવી દેતા અમારી ગાયો ભેંસો બીમાર પડી ગઈ છે. તેમ જણાવીને ઘરના બારી-બારણા, એસીના આઉટડોરને લાકડીઓ મારીને નુકશાન પહોંચાડ્યું હતું. હિસાબ કરી રહેલા હિતેન્દ્રસિંહ તેમજ પરિવારના સભ્યો બીજા ઘરે જઈને સંતાઈ ગયા હતા. દરમિયાન ભરવાડોએ ઘરમાં પ્રવેશ કરીને હિસાબના 32,600 રૂપિયા પણ લઈ ગયા હતા.’

સામા પક્ષે સુરેશભાઈ ભીમાભાઈ ભરવાડે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘તેઓ મહેન્દ્ર ઉર્ફે ટીનાભાઈ જટુભાઈ પરમારના ખેતર પાસેથી ભુરા બાવળ સીમ વિસ્તારમાં ગાયો-ભેંસો ચરાવવા માટે જાય છે. જે અંગે અવાર-નવાર મહેન્દ્રભાઈ ઉર્ફે ટીનાભાઈએ રોકટોક કરીને અહીંયાથી નહીં જવાનું જણાવ્યું હતું. ગત 7મી તારીખના રોજ તેઓ ગાયો-ભેંસો લઈને સુરેશભાઈ ચરાવવા માટે જઈ હતા. જે દરમિયાન મહેન્દ્રભાઈના ખેતર નજીક બહાર પડેલું ઝેરી કુવેર ભેંસોએ ખાતા બે ભેંસોના મોત થયા હતા. જ્યારે બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે ઠપકો કરવા જતાં મહેન્દ્રભાઈ અને ગોપાલભાઈએ ગમે તેવી ગાળો બોલીને લાકડીઓ લઈ આવી મારવા ફરી વળ્યા હતા અને ફાયરીંગ કરીને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરી છે.’

Back to top button