વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને હવે સરળતા રહેશે, જાણો કેવી રીતે

- સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યુ
- ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી
- એસઓયુ ખાતે ટિકિટદર માં પણ રાહત મળશે
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને હવે સરળતા રહેશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા હાઈસ્પીડ કોરીડોરને લઈ ફાળવવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે મંજૂરી આપી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા વધતા AMC પાર્કિંગ પોલિસી પર કરશે કામ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.
સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે
મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદથી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ 2.5 કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે.તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર 6 માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.
એસઓયુ ખાતે ટિકિટદર માં પણ રાહત મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે.