

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ આવતીકાલે બુધવારે જાહેર ક્ષેત્રની બેંકોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે બેઠક કરશે. મીટિંગમાં ધીમી થાપણ વૃદ્ધિ અને ઉચ્ચ ક્રેડિટ માંગ જાળવવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરબીઆઈના ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકોની થાપણોમાં વાર્ષિક ધોરણે 10.2 ટકાની સરખામણીએ 9.6 ટકાનો વધારો થયો છે. જ્યારે એક વર્ષ અગાઉ 6.5 ટકાની સરખામણીએ લોન લેવાનું વધીને 17.9 ટકા થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક માટે જાહેર કરાયેલા એજન્ડા મુજબ, બેંકોમાં સ્થિરતા લાવવા પર ચર્ચા કરવામાં આવશે, જેમાં કિંમતો અને થાપણોની ધીમી વૃદ્ધિનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષમાં આર્થિક પ્રદર્શનમાં બેંકિંગ સિસ્ટમનું મહત્વનું યોગદાન રહ્યું
બેઠકમાં રિટેલ અને માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ (MSME)ની એસેટ ક્વોલિટી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને શરૂ કરેલા ડિજિટલ બેન્કિંગ એકમોની કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જોવા મળેલા આર્થિક પ્રદર્શનમાં બેંકિંગ સિસ્ટમનું મહત્વનું યોગદાન રહ્યું છે. રિટેલ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં પણ ધિરાણનું વિતરણ વધ્યું છે.