આજે સંકટ ચોથઃ વિધ્નહર્તાને આ રીતે કરો પ્રસન્ન


દર મહિનામાં બે વખત ચતુર્થી આવે છે. એક વખત પુર્ણિમા પછી અને બીજી અમાસ પછી. અમાસ બાદ આવતી ચોથને વિનાયક ચતુર્થી અને પુનમ પછી આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે. સંકટ ચોથ દર મહિને કૃષ્ણ પક્ષની ચોથના દિવસે મનાવવામાં આવશે. આજની ચોથને દ્રિજપ્રિય સંકટ ચોથ તરીકે ઉજવવામાં આવશે.
આજે ભગવાનના 32 રૂપોમાંથી તેમના છઠ્ઠા રૂપની પુજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન ગણેશની પુજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ ખતમ થઇ જાય છે. વિધ્નહર્તાની ભક્તો પર વિશેષ કૃપા થાય છે. તેને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ રીતે કરો પુજન વિધિ
સવારે વહેલા ઉઠી સ્નાન કરો. સ્વચ્છ કપડા પહેરી ઘરના મંદિરમાં સાફ સફાઇ કરો. ભગવાન ગણેશને ઉત્તર દિશા તરફ મોં રાખી જળ ચઢાવો. જળ અર્પિત કર્યા પહેલા તેમાં તલ અવશ્ય નાંખો. આખો દિવસ ઉપવાસ રાખો. સાંજે વિધિ પુર્વક ભગવાન ગણેશજીની પુજા કરો. ભગવાન ગણેશની આરતી ઉતારો. ભોગમાં લાડુ ધરાવો. રાતે ચાંદ જોઇને અર્ઘ્ય આપો. લાડુ કે તલ ખાઇને વ્રત ખોલો. તલનું દાન કરો. આ દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી મનુષ્યને ધનધાન્યની કોઇ કમી રહેતી નથી. આ દિવસે ગણેશજીના દર્શન પણ અચુક કરો.
આ છે શુભ મુહુર્ત
સંકટ ચોથનું વ્રત આજે સવારે 4.53 મિનિટે શરૂ થયુ છે અને આવતીકાલે સવારે 6.28 મિનિટ સુધી ચાલશે. આ દિવસે ચંદ્રોદયનો સમય રાતે 9.13 મિનિટનો નિર્ધારિત કરાયો છે. એવું માનવામાં આવે છે કે ચતુર્થી વ્રતના દિવસે ચંદ્રોદય બાદ જ વ્રતના પારણા કરવામાં આવે છે.