અમદાવાદમાં IPL મેચ દરમિયાન આ રસ્તા રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ


31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાનાર છે.અમદાવાદમાં રમાનારી IPL મેચને લઈ કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે વ્યવસ્થા
અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાવાની છે. ત્યારે આ મેચ દરમ્યાન સ્ટેડિયમ વાળા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટેની વ્યવસ્થા કરવામા આવી છે. અમદાવાદમાં યોજાનાર મેચને લઈને અમદાવાદની પોલીસ એલર્ટ મોર્ડ પર જોવા મળી રહી છે. મેચ દરમિયાન 3 હજાર જેટલા પોલીસ કર્મીનો કાફલો તૈનાત રહેશે.
જાણો ક્યા રસ્તાઓ બંધ રહેશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચે યોજાનાર મેચને લઈને આ દિવસે જનપથ ટી થી મોટેરા સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી લઇને રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો છે. આ સાથે ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેમાં જનપથ ટી થી વિસ્તથી ઓ.એન.જી.સી સર્કલ થી તપોવન સર્કલ અવર જવર કરી શકાશે.
પાર્કિંગને લઈને કરાઈ વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવનાર ક્રિકેટ રસિકોના પાર્કિંગને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. અહી આવતા લોકો માટે 20 જેટલા પે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેટ્રોના સમયમાં ફેરફાર
અમદાવાદમાં રમાનારી આ મેચને લઈને IPLની મેચ દરમ્યાન મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. IPLની મેચ દરમ્યાન દર્શકોને ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવા રાત્રે 1.30 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જંત્રીના નવા દર લાગુ થાય તે પહેલા દસ્તાવેજ કરાવી લેજો, જાણો શું કહ્યું સરકારે !