પરિવાર સાથે બિરાજમાન ત્રિનેત્રધારી ગણેશ, જાણો-ક્યાં આવેલું છે મંદિર ?


એવું કહેવાય છે કે આ મંદિર વિશ્વનું પહેલું ગણેશ મંદિર છે. અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં જોવા મળતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન શ્રી ગણેશનું આ મંદિર સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે.

1500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે મંદિર
ભગવાન શ્રી ગણેશનું આ મંદિર 1579 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી પત્ર આવે છે. જે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તે લોકો પ્રથમ આમંત્રણ ગણેશજીના આ મંદિરે મોકલાવે છે. આ સિવાય જે લોકોને પરેશાની હોય તે લોકો પણ અહીં પોતાની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પત્ર મોકલે છે.

કોણે કરાવ્યું હતું ત્રિનેત્રધારી ગણેશજીના મંદિરનું નિર્માણ ?
આ ગણેશ મંદિરનું નિર્માણ મહારાજા હમ્મીરદેવ ચૌહાણે કરાવ્યું હતું. ભારતમાં સ્વયંભૂ ગણેશજીના કુલ ચાર મંદિર છે જે પૈકી રણથંભોરમાં આવેલું આ મંદિર પ્રથમ છે. ત્રિનેત્રવાળા આ ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે.

વિશ્વમાં એકમાત્ર એવું મંદિર, જ્યાં પરિવાર સાથે બિરાજે છે ગણેશજી
સમગ્ર દુનિયામાં ભગવાન શ્રી ગણેશનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ તેમના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના જયપુરથી આશરે 142 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર રાજસ્થાનના પ્રસિદ્ધ રણથંભોર ટાઈગર રિઝર્વ્ડ એરિયામાં આવેલું છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ અમદાવાદથી 700 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચતા આશરે 13 કલાકનો સમય લાગે છે.