સોનું કેવી રીતે બને છે તેનું રહસ્ય અવકાશમાં અને તારાઓના વિસ્ફોટમાં છુપાયેલું છે

- સોનું પૃથ્વી પર પહેલેથી જ બનેલું જોવા મળે છે
- આ માત્ર અવકાશમાં જ બની શકે છે
- ન્યુટ્રોન તારાઓની અથડામણથી જ સોનું બની શકે છે
જર્મની, 29 ડિસેમ્બર : પૃથ્વી પર ક્યારેય સોનાનું સર્જન થયું ન હતું. તે તારાઓની અથડામણની વિસ્ફોટક પ્રક્રિયા દરમિયાન જ બને છે. વિજ્ઞાનીઓએ આ પ્રક્રિયાની વિગતવાર શોધ કરી છે.
વિશ્વની સૌથી આકર્ષક અને કિંમતી ધાતુ સોનુંએ આપણને ખાણોમાંથી મળી આવે છે. મનુષ્યો તેને બનાવી શકતા નથી, આપણે ફક્ત તેને શુદ્ધ કરી શકીએ છીએ. તેને અન્ય ખનિજો સાથેના મિશ્રણથી અલગ કરી શકીએ છીએ, પરંતુ બનાવી શકતા નથી. આ અંગે વિજ્ઞાનીઓનું કહવું છે કે, આવી ભારે ધાતુઓ ક્યારેય પૃથ્વી પર બની નથી અને ન તો તે સૌરમંડળમાં કોઈ પ્રક્રિયા દ્વારા બની છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે તારાના વિસ્ફોટથી સોનું અને અન્ય ભારે ધાતુઓ બને છે.
વિજ્ઞાનીઓ માને છે કે સોનું અને લોખંડ કરતાં ભારે અન્ય ધાતુઓ અવકાશમાં એમ જ નથી બનતી, જ્યારે બે ન્યુટ્રોન તારાઓ અથડાય છે ત્યારે આ ધાતુઓ બને છે. અત્યંત ગાઢ અને મૃત તારાઓની અથડામણના કારણે અવકાશના ફેબ્રિકમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે, જેને ગુરુત્વાકર્ષણ તરંગો કહેવામાં આવે છે. આના પરિણામે ખૂબ જ ઊંચી ઊર્જાવાળા ગામા કિરણો તેમાંથી નીકળે છે અને ખૂબ તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરે છે.
મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્રેવિટેશનલ ફિઝિક્સ અને યુનિવર્સિટી ઓફ પોટ્સડેમના સંશોધકોની ટીમે અદ્યતન સોફ્ટવેરનો ઉપયોગ કરીને 2017માં જોવા મળેલા કિલોનોવા વિસ્ફોટનો અભ્યાસ કર્યો હતો. તેણે તેના મોડેલમાં અન્ય રેડિયો અને એક્સ-રે અવલોકનો પણ સામેલ કર્યા. આ મોડેલ બ્રહ્માંડમાં આયર્ન કરતાં ભારે ધાતુઓના નિર્માણની એકમાત્ર જાણીતી પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે.
જ્યારે એક વિશાળ તારો નાશ પામે છે, ત્યારે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા અટકી જાય છે. આનાથી ખૂબ જ ગાઢ ન્યુટ્રોન સમૃદ્ધ તારો બને છે. જ્યારે આવા તારાઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેમના ન્યુટ્રોન અવકાશમાં અન્ય પરમાણુઓ સાથે સંયોજિત થઈને વધુ ભારે તત્વો બનાવે છે, જેમાંથી અસ્થિર રીતે વિઘટન થતી આ પ્રક્રિયામાં આખરે સોના જેવી ધાતુ બને છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે તેમની આ નવી પદ્ધતિ દ્રવ્યના ગુણધર્મોનું વિશ્લેષણ કરવામાં તેમની મદદ કરશે. આનાથી તેમને બ્રહ્માંડના વિસ્તારને સમજવામાં પણ મદદ મળશે. તેઓ એ પણ જાણી શકશે કે ન્યુટ્રોન તારાઓના વિલીનીકરણમાં કેટલી હદે ભારે તત્ત્વો બને છે. પદાર્થની નિર્માણએ બ્રહ્માંડ અને વિજ્ઞાનનો એક મહત્ત્વપૂર્ણ વિષય છે.
આ પણ વાંચો : મંગળ પરનું સૂર્યગ્રહણ પૃથ્વીથી કેટલું અલગ છે?