મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું


રાજ્યના ફરી બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર સંભાળ્યો છે. જેમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થયા હતા. ત્યારે સીએમ સાથે સમગ્ર મંત્રીમંડળે આજથી પદભાર સંભાળ્યો છે.

સીએમ પદનો કાર્યભાર સંભાળ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે ત્યારે આજે સવારે સીએમ પદનો કાર્યભાર શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે.
મુખ્યમંત્રીકાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.

પૂજા-અર્ચના કરી અન્ય મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળ્યો
ગુજરાત વિધાનસભાના મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓએ પણ પૂજા-અર્ચનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમજ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.