ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

પ્રાકૃતિક ગુલકંદના ઉત્પાદનથી કેવી રીતે બદલાયું ખેડૂતનું જીવન?

  • ધ્રોલ તાલુકાના કાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત બલદેવ ખાત્રાણી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે
  • ”સરકારી કાર્યક્રમોમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલમાં મારી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે, જેનાથી મને ઘણો ફાયદો થયો છે”

જામનગરઃ  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતે છેલ્લા ઘણા દાયકાથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ગુજરાત આવ્યા પછી અહીં પણ આવી ખેતી વિશે ખેડૂતોને સતત જાગૃત કરવા પ્રયત્નશીલ પણ રહે છે. તેમની આ પ્રેરણા રાજ્યના અલગ અલગ ક્ષેત્રના ખેડૂતો લેતા રહે છે. એવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે બલદેવ ખાત્રાણી. ધ્રોલ તાલુકાના કાનપુર ગામના બલદેવભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા તો સારી ઉપજ મેળવી જ રહ્યા છે, પરંતુ તેમણે ગુલાબની ખેતીમાં ઘણું મોટું કામ કર્યું છે. તેઓ પોતે તેમના ખેતરમાં ગુલાબની વિશાળ ખેતી કરીને તેમાંથી ગુલકંદ પણ તૈયાર કરે છે. તેમણે બનાવેલા આ પ્રાકૃતિક ગુલકંદની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશની સરહદો વટાવીને વિવિધ દેશમાં પણ થઈ રહી છે.

ગુલાબની ખેતી-HDNews

ગુલાબ એ ફૂલોનો રાજા કહેવાય છે. ગુલાબની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ગુલાબમાં સફેદ, પીળા, ગુલાબી અને લાલ રંગોમાં જોવા મળે છે. ગુલાબની ખેતી મોટાભાગે એશિયા ખંડમાં કરવામાં આવે છે. ગુલાબનો ઉપયોગ જેવેલરી મેકિંગ, દવા, લેપ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, રોઝ સીરપ, આઈસ્ક્રીમ, એસેન્સ, અગરબત્તી, ગુલકંદ અને મીઠાઈ બનાવવામાં થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર ગામના ખેડૂત બળદેવભાઈ ભાણજીભાઈ ખાત્રાણી માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરે છે. બળદેવભાઈ ગાય આધારિત ખેતી કરે છે, અને અત્યારે તેમના ખેતરમાં તેમણે મગફળી, ઘઉં, કપાસ, પાલક, બીટ, હળદર, બ્રામ્હી, જવેરા અને ગુલાબનું વાવેતર કર્યું છે.

આ પણ વાંચોઃ પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

બળદેવભાઈ ગુલકંદ કેવી રીતે બનાવે છે?

બળદેવભાઈએ જણાવે છે કે, હું 5 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે 10 એકરમાં ગુલાબનું વાવેતર કર્યું છે. ગાયના ગૌમૂત્રમાંથી હું જીવામૃત ઘરે જ બનાવી શકું છું. જેમાં કોઈ ખર્ચો થતો નથી. ખેતરમાં નેચરલ ફોર્મમાં બનેલું ગૌમૂત્રનો જંતુનાશક દવા તરીકે છંટકાવ કરવાથી કોઈ જીવાત રહેતી નથી, અને તેનાથી મારો ખર્ચો પણ ઘણો બચી ગયો છે. દરરોજ સવારે ગુલાબ ઉતારી લીધા પછી એને હું સુકવી દઉં છું. તેમાંથી તૈયાર થયેલી સૂકી ગુલાબની પાંદડીનું હોલસેલમાં વેચાણ કરું છું.

ગુલાબની ખેતી-HDNews

તેઓ આગળ જણાવે છે કે, ગુલકંદ બનાવવા માટે લીલી ગુલાબની પાંદડી, સાકર, મધ, એલચી, વરિયાળી અને જાવંત્રી- આ તમામ પદાર્થો સરખા ભાગમાં મિક્સ કરવામાં આવે છે. તડકા-છાંયામાં મૂકીને મધમાંથી ચાસણી તૈયાર કરાય છે. આ પ્રક્રિયામાં હાનિકારક ખાંડનો ઉપયોગ ના થતો હોવાથી આ હોમમેડ ગુલકંદ ખાધા પછી શરદી, કફ કે ખાંસી થતા નથી. આ ગુલકંદ તૈયાર થઈ ગયા પછી તેઓ 500 રૂ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ કરે છે. તેમના બનાવેલા ગુલકંદની માંગ અત્યારે ગુજરાત પૂરતી જ નહિ, પરંતુ કેનેડા-ઈગ્લેન્ડ સુધી જોવા મળે છે. બળદેવભાઈ પાસેથી કેનેડાના ગ્રાહકો ગુલકંદ હોલસેલમાં મંગાવે છે. તેમની પ્રોડક્ટ્સ જામનગર જિલ્લાના સીમાડા વટાવીને પશ્ચિમના દેશો સુધી પહોંચી ગઈ છે.

ગુલાબની ખેતી-HDNews

ઉલ્લેખનીય છે કે, બળદેવભાઈ ગુલાબની ખેતી કરવાની સાથે-સાથે મિશ્ર પાકમાં મગફળી વાવે છે. મગફળીની સીઝનમાં તેઓ સીંગતેલનું વેચાણ કરે છે. જેમાંથી તેમને એક ડબ્બાનું વેચાણ કર્યા પછી 4200 રૂ ની આવક મળે છે. તેમજ રવિ પાકની સીઝનમાં તેઓ બીટ, પાલક અને જવેરાનું વાવેતર કરે છે, અને બીટના સૂકા ખમણનું વેચાણ કરે છે. તેમણે ગુલાબની પાંદડીને સુકવવા માટે પોલી સોલાર ડ્રાયર લીધું છે, જે 1 લાખ રૂ ની કિંમત સુધીનું હોય છે. આ મશીન ખરીદવા માટે તેમને બાગાયત વિભાગ તરફથી સહાય મળી છે. સવારે મશીનમાં તેઓ પાંદડી સુકવી લે છે, અને બપોર સુધીમાં તે તૈયાર થઈ જાય છે. જામનગર જિલ્લામાં આયોજિત થતા વિવિધ કૃષિમેળા કે મીલેટ્સ મેળામાં તેઓ ગુલકંદનું વેચાણ કરે છે, અને તેમને એમાંથી સારી કમાણી મળી રહે છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં એક મહિનામાં જ 1,5,000નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

આ ઉપરાંત, બળદેવભાઈ પાસેથી મલ્ટી નેશનલ કોસ્મેટિક્સ કંપનીઓ ગુલાબની સૂકી પાંદડી મંગાવે છે. જેનો ઉપયોગ લિપસ્ટીક્સ બનાવવા માટે થાય છે. તેઓ આજુ-બાજુના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના આયોજિત થતા સેમિનારમાં માર્ગદર્શન આપે છે, અને એમાંથી પ્રેરણા લઈને બીજા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવું તરફ વળ્યાં છે. તેમનો સમગ્ર પરિવાર આ કાર્યમાં તેમને બધી જ રીતે સાથ-સહકાર પૂરો પાડે છે. બળદેવભાઈ માત્ર એક સામાન્ય ખેતી કરતા ખેડૂત જ નહિ પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.

સંકલન : જલકૃતિ કે. મહેતા

ફોટો : ગજેન્દ્રસિંહ જાડેજા, અમિત ચંદ્રવાડીયા

 

Back to top button