અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોનો બીજો જથ્થો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યો, 120 લોકોને પરત મોકલ્યા


અમૃતસર, 16 ફેબ્રુઆરી 2025: અમેરિકાથી 119 પ્રવાસી ભારતીયો સાથે આવેલું વિમાન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયું છે. અમૃતસરના પોલીસ કમિશનર અને ડીસી સહિત તમામ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અમેરિકાથી દેશનિકાલ કરેલા 120 જેટલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક ખાસ ફ્લાઇટ શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આમાંથી 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે. અન્ય લોકોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજો જથ્થો છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં એન્ટર થયા હતા અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન આપવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (૧૬ ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની ધારણા છે. તેમાંથી ૫૯ હરિયાણાના, ૫૨ પંજાબના, ૩૧ ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.
ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાયા
આ બધા લોકો ડંકી રુટનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સરહદ પર પકડાયા હતા. વાયરલ થયેલા એક વીડિયોમાં, અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના પહેલા જથ્થાને બેડીઓથી બાંધેલા જોવા મળ્યા હતા. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથેના આ દુર્વ્યવહાર અંગે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં વિપક્ષને ખાતરી આપી હતી કે ભારત સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે જેથી ખાતરી કરી શકાય કે અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ રીતે દુર્વ્યવહાર ન થાય.
આ પણ વાંચો: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે વળતરની જાહેરાત, જોઈ લો મૃતકોની યાદી