રાહુલ ગાંધીને મળ્યા બાદ ગેહલોતનો ઈશારો: પ્રમુખ પદ માટે છોડશે CM પદ્


નવી દિલ્હી
કોંગ્રેસ પ્રમુખ (Congress President) પદની ચૂંટણીમાં (Election) ભારે હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે એ વાતની તો સ્પષ્ટતા થઈ ચુકી છે કે આ વખતે ગાંઘી પરીવારમાંથી કોઈ પણ કોંગ્રેસ પ્રમુખ પદ માટે મેદાને નહીં ઉતરે. કારણકે હંમેશા વંશવાદના આરોપોનો સામનો કરતી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયની કોઈ અન્ય વ્યક્તિ અધ્યક્ષ બને તે લગભગ નિશ્ચિત થઈ ગયુ છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની આ રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌથી આગળ ગણાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોતને ગાંધી પરિવારમાંથી સમર્થન મળી રહ્યુ છે પરંતુ તેના વિશે ખુલીને વાત કરવામાં આવી રહી નથી. આ બધાની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાતે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ગાંધી પરિવારની પહેલી પસંદ ગણાતા અશોક ગેહલોત પાર્ટીના આાગમી અધ્યક્ષ બને તેવી શક્યતા ખૂબ જ પ્રબળ છે.
થરૂર સહિત અન્ય કેટલાય સાથીઓનો મુકાબલો કરવો પડશે.
ગેહલોતે આ પદ માટે પ્રબળ દાવેદાર છે પણ તેમ છત્તા થરૂર સહિત અન્ય કેટલાય સાથીઓનો તેમણે મુકાબલો કરવો પડશે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૂરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત સાથે જ તેમણે પોતે અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડી દેશે તેવો ઈશારો કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન કરવાના છે તે પણ સ્પષ્ટ કરી દીધું છે.
ગેહલોતનો સૂર પલટાયો
ગાંધી પરિવારના ઉમેદવાર ગણાતા ગેહલોતે જયપુર ખાતે પોતાનું CM પદ છોડવાનો ઈશારો કરીને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. અગાઉ તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ગયા બાદ પણ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ જાળવી રાખશે તેમ જણાવ્યું હતું. જોકે રાહુલ ગાંધી દ્વારા ‘એક વ્યક્તિ અને એક પદ’ના સિદ્ધાંતની વકીલાત કરવામાં આવી ત્યાર બાદ ગેહલોતના સૂરમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવા પાર્ટી પ્રમુખે ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંતનું પાલન કરવું પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું તે બધા વચ્ચે પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પોતે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે તેવા સંકેત આપ્યા છે.
ચૂંટણી કાર્યક્રમ
કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.