National Docters Day 2023: જાણો કેમ મનાવાય છે ડોક્ટર્સ ડે?

- 1 જુલાઇના રોજ ડોક્ટર્સના સન્માનમાં ઉજવાય છે આ દિવસ
- ડોક્ટર બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
- 32 વર્ષથી ભારતમાં મનાવાય છે નેશનલ ડોક્ટર્સ ડે
જ્યારે આપણે કોઇ દર્દમાંથી પસાર થઇએ છીએ ત્યારે પહેલા ડોક્ટરની યાદ આવે છે. ડોક્ટરની પાસે આપણા દરેક દુખાવાનો ઇલાજ હોય છે. ડોક્ટર્સ આપણને કોઇ પણ પેઇન કે સમસ્યામાંથી બહાર કાઢે છે. આ જ કારણે ડોક્ટર્સને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ડોક્ટર્સ પ્રત્યેના આ સન્માનને વ્યક્ત કરવા માટે ભારતમાં દર વર્ષે 1 જુલાઇના રોજ નેશનલ ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે.
ડૉક્ટર્સના સમર્પણ અને ઇમાનદારી પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે છેલ્લા 32 વર્ષથી નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસ દેશના જાણિતા ડૉક્ટર બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની જ્યંતી અને પુણ્યતિથિ પર શરૂ કરવામાં આવ્યો હતો. ડોક્ટર બિધાન ચંદ્રએ પશ્વિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન, સ્વતંત્રતા સેનાની અને શિક્ષણના સમર્થક જેવી ઘણી ભૂમિકાઓ નિભાવી હતી.
કોલકતામાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. બિધાન ચંદ્ર રોયે એમઆરસીપી અને એફઆરસીએસની ડિગ્રી લંડનથી મેળવી હતી. વર્ષ 1911માં તેમણે ભારતમાં ડૉક્ટર તરીકે પોતાના જીવનની શરૂઆત કરી હતી. તેઓ કોલકતા મેડિકલ કોલેજમાં લેક્ચરર બન્યા. ત્યાંથી તેઓ કેમ્પલેબ મેડિકલ સ્કૂલ અને ત્યારબાદ કારમિકેલ મેડિકલ કોલેજ ગયા.
કોણ હતા ડો. બિધાન ચંદ્ર રોય?
ડો. બિધાનચંદ્ર રોયે તબીબી ક્ષેત્રે ઘણું મોટુ યોગદાન આપ્યું છે. તેમણે લંડનની પ્રતિષ્ઠિત સેન્ટ બાર્થોલોમ્યૂ હોસ્પિટલથી ડૉક્ટરનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમયે તેમના ભારતીય હોવાને કારણે તેમને કોલેજમાં પ્રવેશ મળી શક્યો ન હતો. બિધાનચંદ્રે હાર ન માની અને લગભગ દોઢ મહિના સુધી ડીનને અરજી કરતા રહ્યા, છેવટે ડીને હાર માનીને તેમની 30મી અરજી સ્વીકારી લીધી. પોતાની કર્મનિષ્ઠાને કારણે બિધાનચંદ્ર રોયે સવા બે વર્ષમાં જ ડિગ્રી મેળવીને એક સાથે ફિજિશિયન અને સર્જનની રોયલ કોલજનું સભ્યપદ હાંસલ કર્યુ. આમ કરવું ઘણા ઓછો લોકો માટે શક્ય બને છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડોક્ટર રોયે ભારત આવીને તબીબી ક્ષેત્રે વિસ્તૃત કામ કર્યુ હતુ. ડૉક્ટર બિધાનચંદ્રનો જન્મ 1 જુલાઇ, 1882માં થયો હતો અને તેમનું અવસાન પણ 1 જુલાઇના દિવસે જ વર્ષ 1962માં થયું હતું. આ જ મહાન ફિઝિશિયન ડો. બિધાન ચંદ્ર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ બન્યા હતા અને તેમને તેમના વિઝનરી નેતૃત્વ માટે પશ્ચિમ બંગાળ રાજ્યના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. વર્ષ 1961માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડોક્ટર્સ ડે 2023 કેમ હશે ખાસ
ડોક્ટર્સને સૈનિકો જેટલુ જ માન સન્માન આપવામાં આવે છે. તેઓ ભલે સીમા પર લડતા નથી, પરંતુ બીમારીઓથી પીડિત લાખો લોકોનું જીવન બચાવે છે. તેઓ સમાજનો એક મહત્ત્વપુર્ણ ભાગ હોય છે. આપણે તેમના સંઘર્ષોને યાદ કરવા જોઇએ. કોરોના કાળમાં ડોક્ટર્સે માનવતાના અદ્ભુત ઉદાહરણ પુરા પાડ્યા હતા. બીજાનો જીવ બચાવવા તેઓ ખતરો માથે લઇ લેતા હતા. આ વર્ષે 1 જુલાઇ, 2023નો દિવસ ભવ્ય રૂપથી મનાવવામાં આવશે.
અલગ અલગ દેશોમાં ક્યારે હોય છે ડોક્ટર્સ ડે?
ડોક્ટર્સ ડે માટેનું એક અદ્ભુત તથ્ય એ છે કે તે દરેક દેશોમાં અલગ અલગ તારીખ પર મનાવવામાં આવે છે. ભારતમાં આપણે 1 જુલાઇએ મનાવીએ છીએ, તો અમેરિકામાં તેને 30 માર્ચ, બ્રાઝિલમાં 18 ઓક્ટોબર, કેનેડામાં 1 મે, ક્યુબામાં 3 ડિસેમ્બર અને નેપાળમાં 4 માર્ચના રોજ મનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ,જાણો