બનાસકાંઠા: ડીસાના જવેલર્સએ મહિલાને નકલી દાગીના પધરાવી દેતા ફરિયાદ


પાલનપુર: ડીસાના પ્રતિષ્ઠિત જ્વેલર્સએ એક મહિલા ગ્રાહકને નકલી દાગીના પધરાવી દેતા મહિલાએ જ્વેલર્સ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા કમળાબેન પરમાનંદભાઈ (ખુશલાણી) ઠક્કરે વર્ષ 2017માં તેઓના કુલ સાત તોલા સોનાના દાગીના ડીસાના ફુવારા સર્કલ પાસે આવેલ રાજદીપ જ્વેલર્સ માંથી આપી કુલ પાંચ તોલા નવા દાગીના ખરીદ્યા હતા.
મહિલાએ વર્ષ 2017માં જુના દાગીના આપી નવા દાગીના ખરીદ્યા હતા
જેમાં કમળાબેન એ સોનાનો દોરો ચાર સોનાની બંગડી મળી કુલ પાંચ તોલા સોનાના દાગીના લેતા જ્વેલર્સએ તેઓને પાકું બિલ પણ આપેલું હતું. ત્યારબાદ કમળાબેન ને હવે પૈસાની જરૂર પડતા તેઓ તારીખ 17 માર્ચ 2023 ના રોજ તેમના પતિ સાથે રાજદીપ જ્વેલર્સમાં થી ખરીદેલ સોનાના દાગીના પરત વેચવા જતા રાજદીપ જ્વેલર્સમાં હાજર મેનેજરે તેઓને અમો દાગીના પરત નહીં લઈએ તેમ જણાવ્યુ હતું. જેથી કમળાબેન અને તેમના પતિ લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ સોના ચાંદીની દુકાનમાં દાગીના વેચવા ગયા હતા. જેથી દુકાનદારે તેઓને કહેલ કે,તમે આ દાગીનાનું ટચ કઢાવી લાવો ત્યારે ભાવ ની ખબર પડશે. આથી બંને જણાએ સોનાના દાગીનાનો ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટચ કઢાવતા ટેસ્ટિંગ કરનારે આ દાગીના નકલી હોવાનું જણાવી દાગીના નકલી હોવાનું બિલ પણ આપ્યું હતું.
હવે વેચવા જતા દાગીનાના ટચ કઢાવતા દાગીના નકલી નીકળ્યા
જેથી કમળાબેન અને તેમના પતિ આ બિલ લઈને રાજદીપ જ્વેલર્સના માલિક ભરતભાઈ હરિભાઈ ચૌધરીને મળતા તેઓએ કહેલ કે, આ દાગીના અમારી દુકાનેથી ખરીદેલ નથી તેમ કહી બંને જણાને દુકાનમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ કમળાબેન અવાર નવાર રાજદીપ જ્વેલર્સમાં જઈ તેમના દાગીના વિશે વાત કરતા તેઓ કોઈ જવાબ આપતા ન હતા. આમ રાજદીપ જવેલર્સ ના માલિક ભરત ચૌધરીએ સોનાના દાગીના ની જગ્યાએ અલગ ધાતુ મિશ્ર કરી ખોટા દાગીના આપતા આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ હોય કમળાબેને ડીસા ઉત્તર પોલીસ મથકે જ્વેલર્સ ભરત ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 406 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :MBA – MCA ની 19815 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ : તા.17 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે