Suratમાં પરિવારના આપઘાત બાદ મોટી દીકરીએ પણ કર્યો આપઘાતનો પ્રયત્ન


તાજેતરમાં સુરતના સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યયોએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. હવે આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન
સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
પોલીસે સ્થાનિકોની પુછપરછ હાથ ધરી
આપને જણાવી દઈએ કે તાજેતરમાં સુરતના સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
શું કહ્યું પોલીસે?
પોલીસ અત્યારે નિવેદનો નોંધી રહી છે, દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
કેમ કર્યો પરિવારે સામૂહિક આપઘાત?
સરથાણામાં મોરડિયા પરિવારે કરેલી સામૂહિક આત્મહત્યા કેસમાં ઘરમાં આર્થિક સંકડામણ અને બેરોજગાર પુત્રને કારણે થતો ઘરકંકાસ જવાબદાર હોવાનું ખુલ્યુ છે. ઘરનો મોટો પુત્ર કોઈ કામધંધે જતો નહોતો, જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા હતા. લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુ ને વધુ ચિંતા કોરી ખાતી હતી. એ કારણે તેમણે, પત્ની અને બે સંતાનોએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પી લેતા પત્ની, પુત્રી અને પુત્રના મોત : પતિની હાલત ગંભીર