પાલનપુર: નગરપાલિકામાં ભંગાર વેચાણના દોષિતો સામે પગલાં લેવા કોંગ્રેસના ધારણા


પાલનપુર: નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ થયેલી ભંગારની હરાજીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મામલો દિવસે દિવસે ગરમાવો પકડી રહ્યો છે. જેમાં વિપક્ષી નેતાએ પોલીસમાં કરેલી રજૂઆત બાદ ફરિયાદ ન થતા શિમલા ગેટ પોલીસ ચોકી સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે.
વિપક્ષી નેતા અંકિતા ઠાકોર સાથે કાર્યકરો જોડાયા
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકામાં 15 દિવસ અગાઉ ભંગારની હરાજી રાખવામાં આવી હતી. જેમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લઈને વિપક્ષી નેતા અંકિતા ઠાકોરે ધરણાં આદર્યા છે. તેમણે ભંગારમાં ભ્રષ્ટાચાર આચરનારા દોષિતો સામે પગલા લેવા માટે પોલીસમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆત પણ કરી હતી. પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી સીમલા ગેટ પોલીસ ચોકી સામે ધરણા શરૂ કર્યા છે.
પાલનપુર : ભંગાર વેચાણના દોષિતો સામે પગલાં લેવા કોંગ્રેસના ધારણા#palanpur #palanpurupdates #Congress #Leaders #Protest #ankitathakor #gujaratupdates #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/dC8xfTyayU
— Hum Dekhenge News (@humdekhengenews) March 22, 2023
આ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના સાથી સદસ્યો અને પાર્ટીના આગેવાનો આશાબેન રાવલ, રવિરાજ ગઢવી, સરફરાજ સિંધી સહિત ધરણામાં જોડાયા હતા. પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો તેમાં ઉદાસીન વલણ દાખવામાં આવશે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
આ અંગે કોંગ્રેસના વિપક્ષી નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે, અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. રાત- દિવસ ભૂખ હડતાલ કરીશું, અને જો પ્રાણ આપવા પડશે તો પણ ખચકાઈશું નહીં. પરંતુ પાલનપુર શહેરની દોઢ લાખ પ્રજાના ટેક્સના પૈસામાં ભંગાર વેચાણમાં ભ્રષ્ટાચાર કરીને નાણાં ચાઉં કરનારા સામે કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી કરી શકે છે. આમ થશે તો પાલનપુર પાલિકામાં હડકંપ મચી જશે.
આ પણ વાંચો :પાલનપુર: ડીસાના કંસારીમાં ખેત તલાવડીનું કરાયું ખાતમુહૂર્ત