ભૂપત ભાયાણી સહિતના ‘આપ’ નેતાઓના કેસરિયા કરવા અંગે સસ્પેન્સ !


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી સૌથી મોટા સમાચાર રવિવારે 11 ડિસેમ્બરના રોજથી ઉડવા લાગ્યા હતા કે, આમ આદમી પાર્ટીના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યુ હતું. એવી પણ વાત હતી કે, કમલમમાં બપોરે 2:00 વાગ્યે તેઓ કેસરિયો ધારણ કરશે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીના ઉમેદવારને મળ્યા માત્ર 30 મત
આ તમામ વચ્ચે આખરે ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી છે. તેમણે જણાવ્યું કે, મેં હજુ ભાજપમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો. હું ગાંધીનગર મારા કામથી આવ્યો હતો. જો કે હજી પણ તેમના નિવેદન પર સૌ કોઈ વિશ્વાસ કરી રહ્યું નથી. ભૂપત ભાયાણીએ કહ્યું કે ભાજપમાં જોડાવવાનો મેં હજુ કોઈ નિર્ણય લીધો નથી. તેમને આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીનાં નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.

ભૂપત ભયાણીએ પક્ષપલટા વિશે જણાવ્યું કે, મારા કાર્યકર્તાઓ જેમ કહેશે તેમ જ કરીશ.રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠક જીતીને ફરી એક વખત સરકાર બનાવી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠક મેળવી હતી. ત્યારે આજે વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી જીતેલા ભૂપત ભાયાણી પક્ષ પલટો કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતં. જોકે, આ વાતને તેમણે અફવા ગણાવી છે.
આ ઉપરાંત આપના વધુ એક ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત ઘણાં નામોની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે હજી સુધી તે તમામ નેતાઓ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા સામે આવી રહી નથી. આ તરફ અપક્ષ તરીકે લડેલાં ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઇ ભાજપમાં જોડાશે. તથા ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી લીધો નિર્ણય કર્યો છે.