રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ


- રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાના ભાવે નોંધણી કરાવવા માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૩૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા સૂચના
ગાંધીનગર, 17 જાન્યુઆરી : ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫/- પ્રતિ ક્વિંટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા ઈચ્છુક ખેડૂત મિત્રોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨/ ૮ ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો અ ની નકલ/ તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ /ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે, જેની નોંધ લેવાની રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ /કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા જણાવાયું છે.
ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે. અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે તેની પણ નોંધ લેવાની રહેશે. ટેકાના ભાવે નોંધણી કરાવવા બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૩૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો :- લગ્ન માટે ઈનકાર કરવો તે આત્મહત્યા માટે ઉશ્કેરણી? હાઈકોર્ટે સંભળાવ્યો નિર્ણય