કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ચૂંટણી પ્રચારના શ્રીગણેશ : કાલે પીએમ મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા સંબોધશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટેના શ્રીગણેશ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસથી કરવાના છે. પીએમ મોદી ભાવનગર તેમજ સુરેન્દ્રનગર અને વલસાડના કપરાડામાં ઉપસ્થિત રહેશે. જેમ તેઓ એક સમૂહલગ્નમાં હાજરી આપવાના છે અને બે સભાને સંબોધવાના છે. જેના માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહ્યો છે.

ભાવનગર ખાતે સમૂહ લગ્નમાં આપશે હાજરી

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઓના જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્ન સમારોહમાં દીકરીઓને આશીર્વાદ આપવા પધારશે. આ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે. પ્રભુતામાં પગલાં પાડી રહેલી 552 દીકરીઓના આ લગ્નોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીને જ્યારે દિનેશભાઈ લખાણી, સુરેશભાઈ લખાણી સહિતના આમંત્રણ આપવામાં માટે ગયા ત્યારે નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સહજ ભાવે સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું લગ્નગ્રંથીથી જોડાઈ રહેલી 552 દીકરીઓના આશીર્વાદ લેવા માટે હું આવીશ. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કિર્તિબેન દાણીધરીયા અને મંત્રી મંડળના કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ બગદાણા મનજીબાપા સહિત સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગરમાં સભાથી જિલ્લાની 5 બેઠકો ઉપર થશે ફાયદો

ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની 4 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે આ વખતે ભાજપ આવી કોઈ ભૂલ કરવા માંગતું નથી અને એટલે જ રાજ્યમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગરથી પીએમ પ્રચારના શ્રીગણેશ કરવાના છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ, પાટડી અને ચોટીલા આ 5 વિધાનસભાની સીટ આવેલી છે. જેમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 5માંથી લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા આ વિધાનસભાની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. એક માત્ર વઢવાણની બેઠકે લાજ રાખીને જીત મેળવી હતી. પરંતુ બાદમાં ભાજપે રાજકીય દાવ ખેલતા યોજાયેલી પેટા ચૂંટણીમાં લીંબડી અને ધ્રાંગધ્રા બેઠક જીતી હતી. આમ હાલના સમયે 5 માંથી 3 બેઠક ઉપર ભાજપની સત્તા છે.

દક્ષિણ ગુજરાતની પ્રથમ સભામાં 1 લાખની જનમેદનીનો ટાર્ગેટ

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં પોતાની પ્રથમ સભા કાલે સંબોધવાના છે. પીએમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે ચૂંટણી સભાને સંબોધશે. ચૂંટણી સભાસ્થળે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા મંડપ ખાતે SPG અને રેન્જ IGની આગેવાનીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. SPGની ટીમ અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સભા મંડપ ખાતે સુરક્ષાના ભાગ રૂપે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button