ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બ્રિટનમાં નફરત ફેલાવશો તો વિઝા રદ્દ થશે: PM સુનકની કટ્ટરપંથીઓને કડક ચેતવણી

  • રોડશેલ પેટાચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે જનતાને સંબોધન કર્યું હતું  

લંડન, 2 માર્ચ: બ્રિટનમાં રોડશેલ પેટાચૂંટણી (Rochdale byelection)ના પરિણામો આવ્યા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જનતાને સંબોધતા વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે સાંજે દેશના નાગરિકોને લોકશાહી બચાવવા માટે અપીલ કરી હતી અને તેમણે ઉગ્રવાદીઓ ચેતવણી આપતા કહ્યું કે, “ઉગ્રવાદી શક્તિઓ દેશને તોડવા અને તેની બહુ-ધાર્મિક ઓળખને નબળી પાડવા મથી રહ્યા છે. જો વિઝા પર આવેલા લોકો નફરત ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેમના વિઝા રદ્દ કરવામાં આવશે.” વધુમાં કહ્યું કે, “હું અહીં આપણા દેશના પ્રથમ અશ્વેત વડાપ્રધાન તરીકે વાત કરી રહ્યો છું, જે આપણા દેશના ઇતિહાસમાં દરેકને સાથે રાખીને ચાલવાવાળી સરકારનું નેતૃત્વ કરે છે.”

 

તેમણે વિરોધીઓને વિનંતી કરી કે, “તે સુનિશ્ચિત કરે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને ઉગ્રવાદી દળો દ્વારા હાઇજેક કરવામાં ન આવે.” પોતાની હિંદુ માન્યતાઓનો ઉલ્લેખ કરતાં, બ્રિટિશ ભારતીય વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, યુનાઇટેડ કિંગડમના સ્થાયી મૂલ્યો તેને તમામ ધર્મો અને જાતિઓના ઇમિગ્રન્ટ્સને સ્વીકારવાનું શીખવે છે.

દેશની અંદર કેટલીક શક્તિઓ… : PM

PM સુનકે કહ્યું કે, “તમે મારા જેવા હિંદુ અને ગૌરવપૂર્ણ બ્રિટિશ વ્યક્તિ થઈ શકો છો, ધર્મનિષ્ઠ મુસ્લિમ અને દેશભક્ત નાગરિક બની શકો છો, જેમ ઘણા બધા લોકો છે અથવા તો સખત મહેનત કરનાર યહૂદી વ્યક્તિ અને તમારા સ્થાનિક સમુદાયના કેન્દ્ર (સમર્થક) હોઈ શકો છો અને તે બધું આપણા ખ્રિસ્તી ચર્ચની સહનશીલતા પર આધારિત છે. પરંતુ મને ડર છે કે વિશ્વની સૌથી સફળ બહુ-જાતિ અને આસ્થાવાળી લોકશાહીના નિર્માણમાં આપણી સિદ્ધિઓને જાણી જોઈને નબળી પાડવામાં આવી રહી છે. દેશની અંદર કેટલીક શક્તિઓ છે, જે આપણને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

રોચડેલ પેટાચૂંટણીમાં પેલેસ્ટાઈન તરફી જ્યોર્જ ગેલોવેની (George Galloway) જીત બાદ ઋષિ સુનકે આ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ કેટલાક પ્રસંગોએ બ્રિટનના રસ્તાઓ પર નાનાં જૂથો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો જેઓ બ્રિટિશ મૂલ્યોના દુશ્મન છે અને તેની લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરતા નથી.

પ્રથમ અશ્વેત વડાપ્રધાન…: ઋષિ સુનક

ઋષિ સુનકે વધુમાં કહ્યું કે, “ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને અત્યંત જમણેરી(Rightist) એકબીજાને પ્રોત્સાહિત કરે છે. તેઓ એવો દેખાડો કરવા માટે પરેશાન થઈ રહ્યા છે કે તેમની હિંસા કોઈક બાબતે વાજબી છે, જ્યારે વાસ્તવમાં આ જૂથો એક જ ઉગ્રવાદી સિક્કાની બે બાજુઓ છે…જે બંને આપણા બહુલવાદી, આધુનિક દેશને ધિક્કારે છે.” બ્રિટિશ વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઉગ્રવાદીઓના આ બંને જૂથો ઉગ્રવાદનું ઝેર ફેલાવી રહ્યા છે. કોઈપણ દેશ પરફેક્ટ નથી, પરંતુ આપણા દેશે જે સારું કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે.”

મને આ દેશ ગમે છે, હું અને મારો પરિવાર તેના માટે ખૂબ આભારી છીએ: PM

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના જવાબમાં થઈ રહેલા શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન, સંસદના સભ્યોની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા હિંસક કૃત્યો અને કોઈપણ હિંસા સામે પગલાં લેવા માટે ઋષિ સુનકે આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પોલીસ દળો સાથે મુલાકાત કરી હતી અને નવા પ્રોટોકોલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરવા સંમત થયા હતા. તેમણે કહ્યું હતું કે, “હિંસા અને ધમકીઓનો દરેક સમયે વિરોધ કરવો જોઈએ.” તેણે કહ્યું કે, “મને આ દેશ ગમે છે, હું અને મારો પરિવાર તેના માટે ખૂબ આભારી છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે બધા સાથે મળીને વિભાજનકારી શક્તિઓનો સામનો કરવાનો છે અને આ ઝેરનું મારણ કરવાનો છે. આપણે એવા ઉગ્રવાદીઓનો સામનો કરવો પડશે જેઓ આપણને ખતમ કરવા માગે છે.

આ પણ જુઓ: ભારત વિરુદ્ધ અપપ્રચાર કરવાનું થાઈલેન્ડના પ્રતિનિધિ ભારે પડ્યું, WTOનું રાજદૂતપદ ગુમાવ્યું

Back to top button